મુસાફરને
Musafarne
રમણલાલ વસંતલાલ દેસાઈ
Ramanlal Vasantlal Desai
રમણલાલ વસંતલાલ દેસાઈ
Ramanlal Vasantlal Desai
(માઢ)
મુસાફર નયને શાની અશાન્તિ?
જરા જો ઝબકી જાગતી ક્રાન્તિ!
વાવ્યાં બીજ ને સીંચ્યાં વારી, છોડ ઊગ્યા મહામૂલ;
ફળ નવ દેખ્યાં, તોય મુંઝાઈ તોડીશ ના કદી ફૂલ;
અહો વીર, સેવા સદા અતુલ!
બોલ બોલંતા પડઘો ઊઠે ને જગતભર સૂર ઝિલાય;
વારી મહીં એક ફૂંક અડકતાં સરવર ઝબકી જાય;
અહો વીર, શ્રમ કોને ન વિલાય!
ઘનની ઘેરી ઘટા ગોરંભે જગ પર જામ્યું તિમિર;
દેહ ઘસી તેં જો ઝલકાવી વીજની એક લકીર;
ભરે જનતા ડગ એકલ ધીર.
કાળતણા રેતાળ રણે એક આછું પગલું પુજાય,
ક્રાન્તિતણા મહાભારત માંહે તારું પર્વ લખાય,
અહો વીર, પગલે પગલે વધાય!
સ્રોત
- પુસ્તક : શમણાં (પૃષ્ઠ ક્રમાંક 162)
- સર્જક : રમણલાલ વસંતલાલ દેસાઈ
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 1959
