Musafarne - Geet | RekhtaGujarati

(માઢ)

મુસાફર નયને શાની અશાન્તિ?

જરા જો ઝબકી જાગતી ક્રાન્તિ!

વાવ્યાં બીજ ને સીંચ્યાં વારી, છોડ ઊગ્યા મહામૂલ;

ફળ નવ દેખ્યાં, તોય મુંઝાઈ તોડીશ ના કદી ફૂલ;

અહો વીર, સેવા સદા અતુલ!

બોલ બોલંતા પડઘો ઊઠે ને જગતભર સૂર ઝિલાય;

વારી મહીં એક ફૂંક અડકતાં સરવર ઝબકી જાય;

અહો વીર, શ્રમ કોને વિલાય!

ઘનની ઘેરી ઘટા ગોરંભે જગ પર જામ્યું તિમિર;

દેહ ઘસી તેં જો ઝલકાવી વીજની એક લકીર;

ભરે જનતા ડગ એકલ ધીર.

કાળતણા રેતાળ રણે એક આછું પગલું પુજાય,

ક્રાન્તિતણા મહાભારત માંહે તારું પર્વ લખાય,

અહો વીર, પગલે પગલે વધાય!

સ્રોત

  • પુસ્તક : શમણાં (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : રમણલા વસંતલાલ દેસાઈ
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 1959