મૃત્યુ વિશેની ઓચ્છવની પરિકલ્પના
Mrutyu Visheni Ochchhavni Parikalpana
ચિનુ મોદી
Chinu Modi
ચિનુ મોદી
Chinu Modi
કડડડ તૂટ્યો સળિયો રે
ઓચ્છવજી મારા,
સાત માળના પવન–મ્હેલમાં
પેઠો પેઠો બળિયો રે;
ઓચ્છવજી મારા.
દાંડી તૂટી, ચશ્માં ફૂટ્યાં, દૃશ્ય બધાં લૂંટાણાં; રે–
ઝરણ ઝાડમાં, કદી પ્હાડમાં, દરિયાઓ છૂપાણાં, રે–
એક હિંડોળો હાલકડોલક
સૂનકારમાં ભળિયો રે,
ઓચ્છવજી મારા.
ઉભરો આવ્યો શાંત થયો ને ફીણ ફરીથી પાણી; રે-
ઝટપટ જીભે ચડતી વાણી, આજ રિસાયલ રાણી; રે-
અડાબીડ મનમાં, મૂંઝવણને
મારગ ક્યાંથી મળિયો રે?
ઓચ્છવજી મારા.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
