manawkanth - Geet | RekhtaGujarati

લોકની વાણી આજ રૂંધાણી, બંધ માનવ કંઠ;

તારલાને છે તેજની વાણી, ફૂલની વાણી ગંધ,

વહેતાં ગાતાં પાણીઃ

રૂંધાણી માનવ વાણી.

ખાણના ખાડા ઊભરે આજે માનવને નિઃશ્વાસ,

કારખાનાનો મેલેા વાયુ મૂંઝવે તેના શ્વાસ;

શ્રમે જ્યાં નાડીઓ તૂટે;

ત્યાં તે કેમ વાણી ફૂટે?

ભૂખના માર્યા, દુઃખના માર્યા, થાતા ગુનેગાર,

બેડીઓ નાખી, સાંકળ બાંધી, પૂરતા જેલને દ્વાર;

રાખે જ્યાં ઢોરની પેઠે,

ત્યાં તે કેમ વાણી ફૂટે?

આંસુ કેરી ધાર મહીં ને ઊના જે નિઃશ્વાસ,

માનવ કેરા ઉર તણો ત્યાં આલેખ્યો ઇતિહાસ :

વાણી ના ઊઠતી ત્યારે

કહે કેમ બીજી પેરે?

આંખ થકી નહીં, અંતરથીઃ જો ઉકેલશો ઇતિહાસ,

જાણશો તો શું ભરિયું છે ત્યાં આંસુમાં, ઊને શ્વાસઃ

રૂધાયેલ માનવ વાણી

જોજો તેમાં આજ સમાણી.

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સર્જક : પ્રહલાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1969