man mein tarun janyun na - Geet | RekhtaGujarati

મન મેં તારું જાણ્યું ના

man mein tarun janyun na

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
મન મેં તારું જાણ્યું ના
રાજેન્દ્ર શાહ

મન મેં તારું જાણ્યું ના, જાણ્યું ના.

આંગણે જેને ઈજન દીધું

ઘરમાં એને આણ્યું ના.

વન-પારેવાં કરતાં કેલિ,

માલતી-ફૂલે વેલ ઝૂકેલી,

નૅણથી ઝરી નૂરની હેલી;

હોઠ બે તારા ફરક્યા આતુર

તો મેં ઝીલ્યું ગાણું ના.

નાંગર્યું’તું જે નાવ કિનારે

દૂર તે ચાલ્યું પારાવારે,

શોચવું રહ્યું મનમાં મારે :

‘જલનાં વ્હેણની જેમ સર્યું તે

આવતું પાછું ટાણં ના’.

ભૂલમાં કેવી ભૂલ કીધેલી,

ઉરની ભણી આંખ મીંચેલી,

મેં મને ના ઓળખી વ્હેલી;

પૂનમ ખીલી પોયણે, સુધા.

પાન મેં ત્યારે માણ્યું ના.

સ્રોત

  • પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
  • વર્ષ : 1983