Jyare Aa Aayakhu Khute - Geet | RekhtaGujarati

જ્યારે આ આયખું ખૂટે

Jyare Aa Aayakhu Khute

રામનારાયણ વિ. પાઠક 'શેષ' રામનારાયણ વિ. પાઠક 'શેષ'
જ્યારે આ આયખું ખૂટે
રામનારાયણ વિ. પાઠક 'શેષ'

(પદ)

જ્યારે દેહમહીં દેવે

ધીરેલું આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે!

જેવી રીત માત નીંદરતું બાળ

ધીમેથી અંકમાં લીએ,

માસે માસે અમાસને દિન

દેવો મયંકને પીએ;

તેવી રીત ગોદમાં લેજે,

તારામાં સમાવી દેજે;

જ્યારે આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત બાપ ખંખેરી ધૂળ

બાળકના શીશને સૂંઘે,

થાકેલું બાપને ખભે ડોક

નાખી નિરાંતે ઊંઘે;

તેમ ખંખેરી લેજે,

મને તું તેડી લેજે;

જ્યારે આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા

એક શબ્દને સ્પર્શે,

ભાવક પ્રવેશે તેને વિશ્વ

સ્વયં બસ રસને હર્ષે;

તેવો આકર્ષજે મુને,

તારે રસ વર્ષજે મુને;

જ્યારે આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન

ક્યારામાં વાળી લીએ

નવા અંકુર પાંગરવા કાજ

પાનને બાળી દીએ;

તેમ મુજ જીવનના સૌ શેષનું

કોઈને ખાતર કરજે,

કોમાં નવજીવન ભરજે,

મારો કોને લોપ નડશો,

મારો કોઈ શોક કરશો;

જ્યારે આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

સ્રોત

  • પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2013