paththar tharthar dhruje! - Geet | RekhtaGujarati

પથ્થર થરથર ધ્રૂજે!

paththar tharthar dhruje!

નિરંજન ભગત નિરંજન ભગત
પથ્થર થરથર ધ્રૂજે!
નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે!

હાથ હરખથી જુઠ્ઠા જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?

પથ્થર થરથર ધ્રૂજે!

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,

એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;

‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,

સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;

હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!

દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,

ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

‘જેણે પાપ કર્યું ના એકે

તે પથ્થર પ્હેલો ફેંકે!’

એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!

અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!

સ્રોત

  • પુસ્તક : છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સર્જક : નિરંજન ભગત
  • પ્રકાશક : ગૂર્જર ગંર્થરત્ન કાર્યાલય
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)