dungra - Geet | RekhtaGujarati

ડુંગરા

dungra

ઉશનસ્ ઉશનસ્
ડુંગરા
ઉશનસ્

કે ડુંગરા હજીયે એના જ, અસલના આદિવાસી રે લોલ.

કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ.

કે ડુંગરાએ ક્હે છે કે, શ્હેર નથી દીઠું, કે ગાડીએ બેઠા નથી રે લોલ,

કે ડુંગરાને ભલું તે મહુડાનું પીઠું, કે વાડીએ પેઠા નથી રે લોલ.

કે ડુંગરા ક્હે છે કે કોક વાર રાતે કે સીમ લગી ઢૂંકતા રે લોલ,

કે ડુંગરા જોયા છે કોઈ દી પ્રભાતે, કે પગલાં મૂકી જતા રે લોલ.

કે ડુંગરા ઊઠે છે રાતના પ્હોરે, કે ઘૂડની પાંખો ફૂટે રે લોલ,

કે ડુંગરા અઘોરી આખો દી ઘોરે, ને રાતના મોડા ઊઠે રે લોલ.

કે ડુંગરા કોક દી સાવજને વેશે, દીઠા મેં નદી પી જતા રે લોલ,

કે ડુંગરા દવમાં દાઝતા કેશે કે દીપડા દીપતા રે લોલ.

કે ડુંગરા કઠિયારા થૈ કાંધે, કે વગડે ટચકા કરે રે લોલ,

કે ડુંગરા સાંજના ભારોડો બાંધે ને કેડીઉં ઊતરે રે લોલ.

કે ડુંગરા કોક વાર ધૂણે છે ઘેલા, ધણેણતા ધરતી બધી રે લોલ,

કે ડુંગરા કોક વાર ભરતા મેળા, કે માથેથી તળિયા સુધી રે લોલ.

કે ડુંગરા આજેય એકલું પ્હેરે લંગોટડીનું ચીંથરું રે લોલ,

કે ડુંગરા મળતા સાંકડી નેળે કે કામઠું ખંભે ધર્યું રે લોલ.

કે ડુંગરા ભડકે છે શ્હેરથી નાસી, કે સીમથી પાછા વળે રે લોલ,

કે ડુંગરા અસલના આદિવાસી કે મંનની વાટે મળે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 444)
  • સંપાદક : ડૉ. શ્રી મફત ઓઝા, ડૉ. શ્રી હેમન્ત દેસાઈ, શ્રી બલ્લુભાઈ પારેખ
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996