ભારત
bhaarat
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ઋતુ ચક્ર ન, ભારત
અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
વિસ્તરતી જડ ભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
મનુકુલ-મનનની ધારા.
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 79)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
