apurva avsar aevo kyare aavshe? - Geet | RekhtaGujarati

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?

apurva avsar aevo kyare aavshe?

શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
શ્રીમદ્ રાજચંદ્ર

(રાગ ઓધવજી સંદેશો કહેજો શ્યામને)

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?

ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો?

સર્વ સંબંધનું બંધન તિક્ષણ છેદીને,

વિચરી શું કવ મહત્પુરુષને પંથ જો? –અપૂર્વ ૧.

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી;

માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો;

અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ,

દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. –અપૂર્વ.

દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે,

દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;

તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,

વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો –અપૂર્વ.

આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,

મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો,

ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,

આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો –અપૂર્વ.

સંયમના હેતુથી યોગપ્રવર્તના,

સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધિન જો;

તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,

અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો –અપૂર્વ.

પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા,

પંચ પ્રમાદે મળે મનનો ક્ષોભ જો;

દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધવણ,

વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો –અપૂર્વ.

ક્રોધપ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,

માનપ્રત્યે તો દીનપણાનું માન જો;

માયાપ્રત્યે માયા સાક્ષી ભાવની,

લોભપ્રત્યે નહીં લોભ સમાન જો –અપૂર્વ.

બહુ ઉપસર્ગકર્તાપ્રત્યે પણ ક્રોધ નહીં,

વંદે ચક્રિ તથાપિ મળે માન જો;

દેહ જાય પણ માયા થાય રોમમાં;

લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો –અપૂર્વ.

નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,

અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો;

કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં;

દ્રવ્યભાવ સંયમમય નિર્ગંધ સિદ્ધ જો –અપૂર્વ.

શત્રુમિત્રપ્રત્યે વર્તે સમદર્શિતા,

માન અમાને વર્તે તેજ સ્વભાવ જો;

જીવતિ કે મરણે નહીં ન્યૂનાધિકતા,

ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો –અપૂર્વ. ૧૦

એકાકિ વિચરતો વળી સ્મશાનમાં,

વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;

અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,

પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો –અપૂર્વ. ૧૧

ઘોર તપશ્ચયામાં પણ મનને તાપ નહીં;

સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો,

રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,

સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો –અપૂર્વ. ૧૨

એમ પરાજ્ય કરીને ચારિત્રમોહનો,

આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;

શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,

અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો –અપૂર્વ. ૧૩

મોહસ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી,

સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો;

અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ,

પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો –અપૂર્વ. ૧૪

ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,

ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો;

સર્વભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા,

કૃતકૃત્ય પ્રભુવીર્ય અનંત પ્રકાશ જો –અપૂર્વ. ૧૫

વેદની આદિ ચાર કર્મ વર્તે જહાં;

બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો;

તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,

આયુષ પૂર્ણે મટિયે દૈહિક પાત્ર જો –અપૂર્વ. ૧૬

મન વચન કાયા ને કર્મની વર્ગણા,

છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો,

એવું અયોગિ ગુણસ્થાનક ત્યાં વર્તતું,

મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો –અપૂર્વ. ૧૭

એક પરમાણું માત્રની મળે સ્પર્શતા,

પૂર્ણ કલંક રાહત અડોલ સ્વરૂપ જો;

શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,

અગુરૂ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જો –અપૂર્વ. ૧૮

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,

ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;

સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,

અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. –અપૂર્વ. ૧૯

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;

તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?

અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. –અપૂર્વ. ૨૦

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,

ગજા વગર ને હાલ મનોરથરૂપ જો;

તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,

પ્રભુઆજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો –અપૂર્વ. ૨૧

સ્રોત

  • પુસ્તક : આધ્યાત્મિક કાવ્યરત્નમાળા (પૃષ્ઠ ક્રમાંક 80)
  • પ્રકાશક : પ્રભુલાલ મંગળજી ગોડા, ચીમનલાલ મંગળજી ગોડા