amrapurina atithio - Geet | RekhtaGujarati

અમરાપુરીનાં અતિથિઓ

amrapurina atithio

કુસુમાકર કુસુમાકર
અમરાપુરીનાં અતિથિઓ
કુસુમાકર

અમરાપુરિનાં અતિથિ, વ્હાલાં, આવજો! ટેક

મધુરાં કીધાં કરવ્યાં શૂં રસપાન જો:

રસવીથિ સુરવાડીની સોહામણી

લલચાવે? નવ દીધાં હજિ ઉરદાન જો: અમo

સરજનજૂની કોકિલકુંજનિ પ્રીત જો,

પુષ્પિત પુંજપરિમલની ઉરપ્યાસ જો,

ઊંચે ઊંચે ઉડવાની ઉરંઝખના,

નવ પોષાયે અદને અમ આવાસ જો: અમo

હૈયાંને હિન્દોળે હો હિન્દોળશૂં,

કૂંળી કળિ શા ઉર જાગ્યા રસકોડ જો

આત્માના અમૃતમાં પ્રિય ઝબકોળશૂં,

વામ વિધી શૂં હસવાની હોડ જો: અમo

પ્રભુ પંખેરાં પાળવવાં પાપ છે,

ઉચિત એને ઊંચા વ્યોમવિહાર જો

પિંજર પાળ્યાં, વ્હાલાં, કહો માફ છે?

મરકલડાં ક્યાંથી અમ માનવદ્વાર જો: અમo

નેહનગરનાં રઢિયાળાં રસરાજવી,

થાપ્યાં થોડું તેજોમય ઉરતખ્ત જો:

કુસુમકલેવર! હૈયાંની ફુલ પાંદડી

વજ્રતીખિ ને લાગી કદિ કદિ સખ્ત જો: અમo

તમ તેજોમય હાસે, અમૃતદીવડાં,

ઊડ્યા ઊડ્યા આત્માના અન્ધાર જો

અજવાળાં શાં ઉઘડ્યાં અમિમય આંગણે,

સ્વર્ગસુધા રેલી રહિ શૂં સ્મિતધાર જો: અમo

માનવની મિટ્ટીમાં દેવલ દીપ્તિ છે,

દેવદૂતનો મનુકુલને અધિકાર જો:

ફુલડાં શા ફીરસ્તા ઉતર્યાં આંગણે,

સૌરભને શુચિતાના તમ શણગાર જો: અમo

મધુઝર તમ માયાનાં શુચિ સમ્ભારણાં,

છાયા છબિને સમણે સુખભંડાર જો:

આત્માના અમૃતરસ ઓગળી ઓગળી

હેત પૂતળાં ઉર ઘડશે સ્મૃતિસાર જો: અમo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931