દલપતરામ
Dalpatram
(‘મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા' - એ રાગ.)
કહે શામા સુણ સાહેલી રે, પીઉ પધાર્યા પરદેશે;
મુજને એકલડી મેલી રે, ભર જોબન બાળે વેષે.
સાસરીઆમાં સુખ શાનું રે, વાલમજીના જોગ વિના;
પીયર ન ગમે પોતાનું રે, બનવી ન રહી બાકી બીના.
રોતાં વીતે છે રજની રે, દિવસે દિલમાં દાઝું છું;
શું કહીએ ઝાઝું સજની રે, લોકની લાજે લાજું છું.
સૈયર મારો સંદેશો રે, પોંચાડે કોણ પ્રીતમને;
ઉરમાં આવે અંદેશો રે, અવગુણ ગણી તજીઆં અમને.
અલબેલો જો નહિ આવે રે, જીવલડો મારો જાશે;
સમજણ દઈ કોણ સમજાવે રે, કંથ હત્યારો કહેવાશે.
જગમાં જન સઘળા જાણે રે, દિલમાં એને ખૂબ દયા;
તે ટેક તજી આ ટાણે રે, કંથ નમેરા કેમ થયા.
રૂદયામાં કરુણા રાખી રે, મન મોહન આવે મળવા;
પરણીને પરવશ નાંખી રે, રસીયો તુરત ગયો રળવા.
રૂદયામાં સમજી રહીએ રે, વિજોગના દુઃખની વાતો;
ક્યાં જઈને દુઃખડાં કહીએ રે, ઘરધણીએ કીધી ઘાતો.
મુજને પીઉ ક્યારે મળશે રે, કંથ વિના સરવે કાચું;
તનનાં દુઃખ ક્યારે ટળશે રે, સજની તું કેને સાચું.
જો પંડ વિષે હોય પાંખો રે, ઉડી જઈ મળીને આવું;
એકવાર મેળાવું આંખો રે, લલચાવીને ઘેર લાવું.
પોપટડા પાંખો વાળા રે, વાલમ પાસે જા વીરા;
રસકસ આપીશ રૂપાળા રે, વળી માણેક મોતી હીરા.
પાંજરીયું તારું પ્યારા રે, સરસ ઘડાવીશ સોનાનું;
જ્યાં જીવનજી છે મારા રે, છેક વચન કહેજે છાનું.
અતિ રુદન કરે છે રાધા રે, જીવન વિચર્યા છે જે દિનથી;
બાંધી અનજલની બાધારે, તન દાઝે છે તે દિનથી.
તમ વિના રહે ટળવળતીરે, શી રીતે સંતાપ સહે;
વાલમ પસ્તાશો વળતી રે, પ્યારીના નહિ પ્રાણ રહે.
પ્રીતમજી ઘેર પધારો રે, દિલમાં લાવી કંઈક દયા;
વનિતાનો હરખ વધારો રે; બળવંતા શું બેસી રહ્યા.
શૂળીનું સંકટ સારું રે, વિજોગનું તેથી વસમું;
હળવે હળવે હણનારું રે, સંકટ તો તેના ન સમું.
કોઈ પણ પ્રીતમ પ્યારીને રે, વિશ્વ વિષે ન વિજોગ થશો;
નવ નીધી છતાં નારીને રે, કંથવિના નહિ લાવ કશો.
પરથમથી પ્રીત વધારી રે, સાથ ન રાખી શા માટે;
વળતી મેલી વિસારી રે, અંતર દાઝે એ માટે.
હવે ઘણી થઈ ઘેર ચાલો રે, સમજુ છો ઘણું શું કહીએ;
અબળાને ધીરજ આલો રે, રીસ કરી ન હવે રહીએ.
થીરતા રાખીને થાકી રે, શાણપણે સુખ દુઃખ સહી;
બનવાની નહિ રહી બાકીરે, હિંમત હૈડામાં ન રહી.
રોઈરોઈને આંખો રાતી રે, કીધી છે તે કામનીએ;
છણછણ દાઝે છે છાતી રે, ભજન ધર્યું છે ભામનીએ.
તેનું દુઃખ ટાળે તેવી રે, જડીબુટી જગમાં ન જડે;
અતિ અદ્ભુત પીડા એવી રે, નારીને નીત્ય નીત્ય નડે.
એટલું જઈ પિયુની આગળ રે, કથન વિચારીને કે'જે;
વળી લાવ લખાવી કાગળ રે, જે જોઈએ તે તું લેજે.
રૂડી આ રસની રીતિ રે, દલપતરામે કહી દીધી;
પ્રીતમ પ્યારીની પ્રીતિ રે, લાયક જાણી દીલ લીધી.
થીરતા = ધીરતા
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 63)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
