પીતાંબર
Pitambar
ઊંદર કેર કરે છે રે, દુઃખડાં કોને કહેવા જઈએ?
અમને નિત્ય રંજાડે રે, ઘરમાં કેમ કરીને રહીએ?
ઘર મધ્યેથી દોડી આવે, બિછાના પર બેસે;
ફૂંકી ફૂંકી ચાંચ જ મારે, ના ખબર તેની રે' છે. ઊંદર૦
ચાર પહોરની રજનીમાં રે, એક ઘડી નવ જંપે;
નિદ્રામાંથી જાગું ઝબકી, તવ કાયા મારી કંપે. ઊંદર૦
પોથી પુસ્તક કાપી નાખ્યાં, બાકી ન રાખ્યું એક;
ઝાલી ઝાલી થાકી ગયો, ૫ણ પાર ન આવ્યો છેક. ઊંદર૦
ધોતી પોતી કાપી ખાધી, દોરી કાપી આખી;
અબોટિયુ અંગરખું કાપ્યું, તેનો સૂરજ સાખી. ઊંદર૦
જળ પીવાનું બોટી ગયા ને, તેલ ઢોળી દીધું;
બરણીમાં જે બાકી રહ્યું તે, સરવે મળીને પીધું. ઊંદર૦
ચૂચું ચૂચું ચીસે પાડે, લીંડી ઝાઝી પાડે;
ઢંઢોળીને હાંકું ત્યારે, દોટો ઝાઝી કાઢે. ઊંદર૦
ગણપતિની ચોથ જ કરીએ, તે કરતાં નથી ચૂક્યા;
લસલસતા લાડુ કરીને, ઊંદરમામાને મૂક્યા. ઊંદર૦
દીવો જો બળતો રાખું તો, દિવેટ તાણી જાયે;
એમ કરતા જે ઊંઘી ગયા તો, લંકા જેવું થાયે. ઊંદર૦
જે દિવસના ગામ ગયા'તા, તે દિવસના ઘરમાં પડિયા;
કોઠી પેટી કાપી ખાધી, એ રીતે મને નડિયા. ઊંદર૦
પાંજરા મૂકી મૂકી થાકયો, તોયે ઝાલ્યા નવ ખૂટે;
ખાવાનું ઉઘાડી નાખી, જાણે ગોળનું ગાડું લૂંટે. ઊંદર૦
એહ પશુને શું કરીએ? મને રીસ ગઈ છે વ્યાપી;
માળા મારી ફેરવવાની ગૌમુખી સુદ્ધાં કાપી. ઊંદર૦
નિત નિત દુઃખડાં દે છે અમને, ક્યાં જઈએ અમે નાસી?
ભગત ‘પીતાંબર’ એમ કહે, એને મળજો વાઘની માસી. ઊંદર૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 425)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
