vishtii - Free-verse | RekhtaGujarati

જરૂર કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં

વિષ્ટિ કરવા ગયા હશે!

નહીં તો આટઆટલાં શસ્ત્રોનો થાળ

માનવી અમસ્તો ખડકે;

કોની પાસે કેટલી અક્ષૌહિણી સેના છે

એની ગણતરી કરવા કૉમ્પ્યુટરોને કામે લગાડાય;

આકાશમાં ઘેરાઈને વીખરાતાં વાદળો જેવાં મન

ઉદાસીની ઝરમર ઝરી શૂન્ય બની જાય.

સોયના બિંદુ પર ટકે એટલું સત્ય પણ શેષ રહ્યું હોય

ત્યારે શેષનાગ કંપી ઊઠે છે.

પૂર્વમાં ઊગેલો સૂર્ય

પશ્ચિમમાં આથમે

ત્યારે ઇતિહાસનો દિવસ પૂરો થશે

કે અઢાર દિવસ પહેલાંની

કે પછીની રાત્રિ ઊગશે?

શસ્ત્રો, વિમાનો, સબમરીનો,

પૃથ્વીને આગ લગાડી અવકાશમાં વસવા જવા

માટેનાં રૉકેટો, અવકાશયાનો અને ઉપગ્રહો.

રાજભોગની તૈયારી

વિષ્ટિએથી પાછા ફરનારા કૃષ્ણ માટે

કરી છે શું?

જરૂર

કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં

વિષ્ટિ કરતા હશે,

નહિતર....

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ