premni wadayanun muhurt - Free-verse | RekhtaGujarati

પ્રેમની વદાયનું મુહૂર્ત

premni wadayanun muhurt

સુરેશ જોષી સુરેશ જોષી
પ્રેમની વદાયનું મુહૂર્ત
સુરેશ જોષી

આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત.

જેને સાથે આવકાર્યો

તેનાથી છૂટાં પડતાં આપણેય છૂટાં પડીશું?

ના,

પ્રેમ આપણાથી જશે દૂર દૂ...ર,

આપણે તો રહીશું એકબીજાની અડોઅડ,

આપણી સાથે રહેશે એનું પ્રેત,

અનિકેત.

આલિંગનનું પૂર્ણ વર્તુળ હવે ખણ્ડિત,

કાળ ઘૂઘવતો વહી જશે શિથિલ બન્ધવાળી

આંગળીઓનાં છિદ્રોમાંથી,

આંસુને ઝૂલે હીંચ્યા કરશે

કેવળ એનું પ્રેત.

શબ્દો તો બોલીશું

પણ તે મૌનનું પાતાળ પૂરવાને,

એકબીજાને સ્પર્શીશું

પ્રત્યેક સ્પર્શથી સ્પર્શની સ્મૃતિને ભૂંસી નાખવાને,

આંખમાં આંખ પરોવીશું

દૃષ્ટિનો દૃષ્ટિથી છેદ ઉરાડી દેવાને,

સાથે મળીને કાળમત્સ્યના ઉદરમાં

પધરાવી દઈશું અભિજ્ઞાનની મુદ્રા.

કાળનાં બે પડ હવે જુદાં

ક્યું તારું ક્યું મારું એનો હવે કલહ હવે નહીં,

હૃદયના બે ધબકાર હવે જુદા–

ક્યો જીવનનો ક્યો મરણનો એની હવે પૃચ્છા નહીં,

ચરણોની દિશા એક,

સ્મરણોની દિશા અનેક.

મુહૂર્ત પ્રેમની વદાયનું મુહૂર્ત

દિશાઓને કઠે ડૂમો,

હવાની આંખમાં ઝળઝળિયાં,

સૂરજની સળગતી ચિતા,

ચન્દ્રની ઊડતી રાખ.

મુહૂર્ત પ્રેમની વદાયનું,

પ્રત્યાખ્યાનનું મુહૂર્ત.

રસપ્રદ તથ્યો

પુરાણકથાના પાત્રો દુષ્યંત શકુંતલાનો અહીં સંદર્ભ છે. ઓળખ માટે દુષ્યંતે શકુંતલાને આપેલી વીંટી, એ નદીમાં નહાતી હતી ત્યારે એની આંગળીએથી સરી ગઈ હતી અને એક માછલી એ વીંટી ગળી ગઈ હતી. ત્યાર બાદ શકુંતલાને દુષ્યંત ઓળખી નથી શકતો કેમકે શકુંતલા પાસે વીંટી નથી. અહીં પ્રણયની વિસ્મૃતિના અર્થમાં કાળમત્સ્ય, અભિજ્ઞાન અને મુદ્રાના ઉલ્લેખ છે.

સ્રોત

  • પુસ્તક : ઈતરા (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : સુરેશ જોષી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન અ
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 2