mathuradas jeram - Free-verse | RekhtaGujarati

મથુરાદાસ જેરામ

mathuradas jeram

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ
ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)

સંખ્યાબંધ લોકોની આંખ સામે

ધોળે દહાડે

ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે

મરવાનું અંગત કાર્ય કરી ગયો

એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે

હું એને અંજલિ આપું;

એની કરુણભવ્ય ગાથા રચું;

જેથી કેટલાક વધુ માણસો જાણે

કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.

ભડનો દીકરો હતો એ,

તડ ને ફડ હતો એ.

મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે

મથુરાદાસને ધરતીનો લગાવ હતો.

વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,

મન મૂકીને ખડખડ હસતો,

તક મળ્યે બહારગામ જઈ

રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો.

ઝનૂની ઘોડાઓ પલાણતો,

અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ

તારાઓની નિકટમાં સૂઈ જતો.

(ના, ના, કંઈ જોઈએ એટલી ભવ્ય વાત થઈ શકી.

જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ

છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.

એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ

તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં.

ત્રીસ વરહ સુધી દરરોજના દહ-દહ કલાક

પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો રે’.

દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં

ફૅક્ટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા

ખાઈને પડી રે’વું,

કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડો,

ફિકર-ફિકર, પ્રામાણિકતા, ઝઘડા, મહત્ત્વાકાંક્ષા.

બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.

–મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઇમ્પ્રેસ નહિ થાઓ.

કદાચ તમારી ઑફિસનો બૉસ

સાવ સામાન્ય ગુમાસ્તામાંથી

આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.

તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.

મથુરાદાસનું તો જાણે...સમજ્યા.)

જો કે મારે ઉમેરવું જોઈએ કે

પાછલાં વરસોમાં મથુરાદાસ સામે

અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું

એના શરીરે.

તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.

વગડાઉ કાગડાનો પગ તૂટી જાય,

પછી તે તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,

તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,

એવી કપરી સ્થિતિ એની થઈ હતી.

પણ લાચારીને એણે મુદ્દલ સ્વીકારી, મુસ્તાક રહ્યો.

મોત સાથેનો પ્રવાસ હતો,

અને હંમેશા તેણે સહપ્રવાસીની

ઠેકડી ઉડાવી.

(માળું, આયે તમને નહિ જામે.

કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી છે

જેમાં અસાધ્ય કૅન્સરથી ગ્રસ્ત હીરો

હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.

ના, હવે ફૉર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,

હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.

વાતચીત કે વર્ણનોથી હું એક્કેય

વાઙમય મંદિર ચણી શકતો નથી.

કે જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે.

શબ્દોનાં હૂંફાળાં પીંછાંઓ ઓઢાડી શકતો નથી

તારા સંદર્ભના નગ્ન ડિલ પર.

એક પ્રામાણિક વેદના સિવાય હું કશુંયે આપી શકતો નથી,

મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • પ્રકાશક : દીપક મહેતા
  • વર્ષ : 2008