maane to maya a j moksha - Free-verse | RekhtaGujarati

માને તો માયા એ જ મોક્ષ

maane to maya a j moksha

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
માને તો માયા એ જ મોક્ષ
રઘુવીર ચૌધરી

માએ જન્મ આપ્યો.

મેં શું આપ્યું માને?

અગ્નિદાહ.

ધવડાવી-ખવડાવી

મોટી ફલાંગો ભરવાનું

પોષણ આપ્યું માએ.

વાટખર્ચીમાં ખૂટે નહીં

એટલો સ્નેહ આપ્યો.

મેં શું આપ્યું માને?

સદીનાં શહેરોએ

વિખૂટાં પાડી દીધાં સંતાનોને માવતરથી.

માનાં ધૂળિયાં મૂળિયાંને

શહેરની સડક ક્યાંથી સદે?

ને આપણા માટે તો

અન્ય બંધનોની જેમ સમ્બન્ધ પણ

એક સાપ્તાહિક સવાર.

માને મળાય મળાય

ને દૂર નીકળી જવાય માળાથી,

વિસામા વિનાની વાટે...

મારાં બધાં ભ્રમણ આજે

માના અંગૂઠા કને એકાગ્ર,

જે અગ્નિએ મા અન્નપૂર્ણા હતાં.

એણે ચિતા પેટાવી છે.

ઊઘડતું જાય છે એનું બહિરંતર રૂપ.

સર્વાધિક પ્રિયનું સમર્પણ એટલે યજ્ઞ.

માની ચિતા એક યજ્ઞ છે પુત્ર માટે...

પિતાજી નેવુંમા વર્ષે

ધનતેરશની વહેલી સવારે પોઢી ગયા.

ધીરે ધીરે પ્રાણમય કોષ સંકોરતા.

મા ત્યારે બ્યાશીનાં હતાં, કંચનવર્ણા,

સતત કામગરાં...

પિતાજીની વિદાય વખતે ભાગોળના કૂવે

બલ્લૈયાં ફોડી કલ્પાંત કરી મૂક્યું...

પછી વિખેરાઈ ગયાં પોણાં ત્રણ વર્ષમાં.

ઘેર જાઉં એટલી વાર પૂછે :

‘ભાઈ, મોત ક્યારે આવશે?’

હસીને કહેવાનું : ‘હજી થોડી વાર છે.’

વખતે જોતાં થયું

દેવળ જૂનું થયું કે શું?

ધારી સેવા થયાની પીડા

આંખોથી ટપકતી રહી,

એમા દીધાં : દાનપુણ્ય કરીશું મા!

આંખો બિડાઈ, તરી આવ્યાં છેલ્લાં આંસુ.

આંસુ વિનાની એકેય વિદાય

મા પાસેથી મળી નથી,

એમણે વિદાય માગી આંસુના હકથી.

દિવાસાની સાંજે

પક્ષીઓ માળામાં ફરે પળે...

વાદળ બહાર સૂરજની કિનારી તગે

એમ સહુની આંખોની કોર ચમકે...

પંચ્યાશી વર્ષનો નાતો

આખા ઉપરવાસનો...

પિતાજી મંદિર ગયા હોય

ને મારા ઘરને ઓટલે બેઠાં

એકેએક વટેમાર્ગુની ભાળ લેતાં રહે.

કોની મજાલ કે મળ્યા વિના જાય?

વચ્ચેના દિવસોનું સરવૈયું રજૂ થાય,

અહીંથી શીખના બે શબ્દ સંભળાય.

‘મા, તમે બહુ બોલો છો!’

હસીને કહીએ તો ધીમેથી જવાબ મળે

‘બોલું નહીં તો મારો દાડો શેને જાય?’

સાચી વાત હતી કે

માનાં આંખકાન સાબદાં હતાં.

બોલવા કરતાંય વધુ સાંભળતાં,

સમજતાં, કહેતાં, એક વાક્યની ગીતાઈ :

‘કોઈથી કજિયો કરીએ કે છેતરાઈએ નઈ ભઈ.’

મા નાતની આખી સત્યાવીને ઓળખતાં,.

ગામ સત્યાવીનાં ચોપન થયાં

ને છેલ્લા પચીસીમાં પરગામ ગયાં નહીં,

તોય આખો ઇલાકો આંખ સામે હૂબહૂ.

કીકીના રડારમાં સૌની છબી ઝિલાય.

સંખ્યાનો સવાલ નથી,

સમ્બન્ધનો ફાલ છે, મા જાણે આખી ધરતી!

પિતાજીને અગ્નિસંસ્કાર માટે

નદીકિનારે એકલશૃંગી લઈ ગયેલા.

તપોભૂમિની પાસે માનું પિયર.

નદી અને વરસાદે સરજેલી ટેકરીઓ ચઢીને

ખીજડાનો કૂટો લેવા જતી સહિયરો...

બધાં સાંભરણાં હર્યાંભર્યાં.

પાર બદપુરા પાર બાપુપુરા,

વચ્ચે સાસરિયાની વાટ,

ઉચાટ વગરનો સંસાર.

ખળામાં અનાજ,

ઘરમાં ઘી દાણાદાર,

માખણ બરાબર તાવીને મા એનું તેજ પ્રગટાવે.

પછીતથી આંગણા સુધી

બધું સુઘડ, ધૂપદીપથી ઝળાંહળાં.

ગરીબ કે ઘરાક,

ભરથરી કે ફકીર

કોઈ ઠાલું જાય.

છાબડી છલકાય એટલા રોટલા ઘડે રોજ.

મહેમાનો માટે શીરો કે સુખડી.

વારતહેવારે માલપૂઆ ને લાડુ,

શ્રાદ્ધના દિવસોમાં ખીર

દિવાળી પર સુંવાળી ને વડાં.

ઘરમાં કોઈને તાવતરિયો આવે

તો માના હાથના શીરે સાજું થઈ જાય!

એક વાર અમદાવાદના ઘરે, ગૅલેરીમાં

જતાઆવતા લોકને જોતાં રહ્યાં,

પછી મૂંઝાઈને બોલી બેઠાં :

‘શું ખાતાં હશે બધાં?’

ગામમાં તો પેદા કરે ખાય.

એમ તો નોટોનું નાણું,

રાજાપરજા બધું સમજતાં,

માતમા ગાંધી ને ઝવેરીલાલ નેરુ જેવા

આગેવાનોને વખાણતાં,

બીતાં નહીં,

પોતાની પરજાને કોઈ ગાળ દે તોય

દુર્ગા બની જતાં.

દીકરો અધવચ્ચે ઢળી પડે તો

ઝંડો લઈ આગળ વધતી મા

જેવી ગોર્કીની તેવી મારા ગામની.

મા લડે છે આપણને

ત્યારેય આપણા વતી લડતી હોય છે.

માને તો માયા મોક્ષ.

માળા ફેરવતાં જાય

ને ખબરઅંતર પૂછતાં જાય.

જશોદાજીએ બાળગોપાળના મુખમાં

ત્રિભુવન દીઠું

ત્યારથી બ્રહ્મવિહારી થઈ ગયું છે

માનું વાત્સલ્ય.

એની આશિષ ઊતરી આવે છે

સંતાનોના ખાલીપામાં,

સચેતન કરી જાય છે આગામી સવાર.

ચિતાની ટાઢી વાળવા ગયો

ત્યારે સૂર્યોદય થવામાં હતો.

માનાં ફૂલ જાણે મને ઓળખતાં હોય

એમ દુધિયલ આંસુ શાં ચમકી ઊઠ્યાં.

થોડાંક વીણ્યાં, શેષ સાચવીને વાળ્યાં.

ધવલોજ્જ્વલ રાખીને ઢગલી પર

ભગવા રંગના મોરિયાનું ઝમતું જળ...

ઉપરની કુલડીમાં સોપારી ને ધરો,

નજીકના શેઢે નવા અંકુરો.

સ્રોત

  • પુસ્તક : વાત્સલ્યમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2019