Lalit Kalaa Sangrahalay Ma - Free-verse | RekhtaGujarati

લલિત કલા સંગ્રહાલયમાં

Lalit Kalaa Sangrahalay Ma

ડબ્લ્યૂ. એચ. ઑડેન ડબ્લ્યૂ. એચ. ઑડેન
લલિત કલા સંગ્રહાલયમાં
ડબ્લ્યૂ. એચ. ઑડેન

જૂના બંદાઓ યાતના વિશે ક્યારેય

ખોટા ન'તા : તેમને માનવઘટનાની કેવી

અચ્છી કોઠાસૂઝ હતી; જ્યારે બીજું કોઈ ખાતુંપીતું હોય

કે બારી ઉઘાડતું હોય કે બસ, માત્ર કંટાળાથી ચાલ્યા કરતું હોય

ત્યારે પેલી યાતના કેવી ઉપસી આવે છે;

જેમ કે, જ્યારે વૃદ્ધ આર્દ્ર શ્રદ્ધા ને આવેશથી

કોઈ ચમત્કારિક જન્મની પ્રતીક્ષા કરતા હોય છે, ત્યારે પણ

વનની સીમા પરના જળાશય ઉપર ‘સ્કેઈટિંગ’ કરતાં,

એવાં કોઈ બાળકો હશે હશે

જેમને આવું કંઈક બને તેવી કોઈ ખાસ ઇચ્છા હોય.

તે બંદાઓ ક્યારેય ભૂલ્યા નથી

કે ભયંકર શહાદતે પણ કોઈ ખૂણેખાંચરે લપાઈ જવું પડે છે

કોઈ ગંદી, વેરણછેરણ જગાએ

જ્યાં કુત્તાઓ પોતાની કુત્તીય જિંદગી ગુજારે છે, અને

જ્યાં જુલ્મીનો ઘોડો પણ એક ઝાડ સાથે ઘસીને પોતાની

નિર્દોષ પીઠને ખજવાળતો હોય છે.

બ્રુઘલના ઇકારસમાં છે ને તેમ : બધું કેવું

સાવ હળવેથી આફતને ચાતરી જાય છે :

સમુદ્રમાં થયેલો પેલો ધુબાકો અને પેલી વછોડાયેલી ચીસ

પેલા ખેડૂતે સાંભળી પણ હોય,

પણ, એના માટે કોઈ ખાસ નિષ્ફળતા હતી;

લીલાં પાણીમાં અદૃશ્ય થતા પેલા ગોરા ગોરા પગ ઉપર

સૂર્ય તડક્યો હતો નાછૂટકે;

અને પેલા મોંઘાદાટ નાજુક જહાજે આકાશેથી ગબડતા છોકરા જેવું

કંઈક વિસ્મયજનક જોયું હશે

પણ–, એણે ક્યાંક તો પહોંચવાનું હતું અને

એટલે એણે સ્વસ્થતાથી સર્યા કર્યું.

(અનુ. સંજય ઠાકર)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1973 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ