iyal 1 - Free-verse | RekhtaGujarati

ઇયળબેન, શું પૂછ્યું તમે?

કવિનું કામ શું એમ?

કવિનું સૌ પહેલું કામ તે

ચિત્રગુપ્તનાં પાપપુણ્યોનો હિસાબ રાખવાનું;

એમ કરતાં સમય બચે

એમાં કરતાં સમય બચે

એમાં ધરતીકંપોને કક્કો અને બારાખડી

અને જ્વાળામુખીઓને સોએકડી શીખવવાનું;

અને એમ કરતાં પણ સમય બચે તો એમાં

ગોકળગાયના કે વઢવાડિયા ફૂલના કે શ્રીમંત બાવળના

સનેડા લખવાનું.

ઓહ્, તમારે પણ કવિ થવું છે એમ?

ઇયળબેન, બહુ અઘરું છે કવિ બનવું.

માટે સૌ પહેલાં તો તમારે

રૂઢિપ્રયોગોનું ધાવણ ધાવવું પડે;

પછી કહેવતોને

હોજરીઓને ફૂલ જેમ ખીલવાનું મન થાય તો એમને

જીભ પર રોપી ખાતરપામી આપવું પડે.

બધું કરી શકશો તમે?

તો પછી તમે કવિ બની શકો.

તમતમારે ખાએ જાઓ પાંદડાં

ઊકેલ્યે જો તાણાવાણા

બ્રહ્માંડના.

જો એમ કરતાં વચ્ચે ગાંઠ આવે તો મને કહેજો

હું બેઠો છું અહીં અનરાધાર આભની નીચે

શ્રી સવાની કાતર લઈને.

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 232)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગશ પટેલ
  • પ્રકાશક : એન.એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ
  • વર્ષ : 2015