–e kawya - Free-verse | RekhtaGujarati

–એ કાવ્ય

–e kawya

જ્યોતિષ જાની જ્યોતિષ જાની

કાવ્યને

હું

ક્યારે જન્મ

આપી શકવાનો નથી.

મારી અસંખ્ય જીહ્વાઓમાંથી

પ્રગટવા મથતું

કાવ્ય

એના લાલ રેસાઓથી

મને રુંધી રહ્યું છે.

કદાચ, તમે એને પામી શકો-

મારી આંખોના લાલ લાલ ખૂણામાં

ક્યારેક પ્રગટે છે

જ્યારે ધૂંધળા આકાશમાં રાતા સૂર્યનું

એક કિરણ

મારી આંખોમાં સરી જાય છે.

થીજી જતાં પહેલાં આંસુના પરપોટામાં

ક્યારેક એના શબ્દનો

ધ્વનિ-તરંગ ઝીલાય છે.

છલકે છે ક્યારેક હોઠો ઉપર

સ્વપ્ન જોસથી મને ચૂમી લઈ

વિહ્વળ કરી મુકીને-

-મારું કદીયે નહિ જન્મ પામવા નિર્માયેલું

–એ કાવ્ય.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008