Je Jayu Te Jaay - Doha | RekhtaGujarati

જે જાયું તે જાય

Je Jayu Te Jaay

બુલાખીરામ ચકુભાઈ બુલાખીરામ ચકુભાઈ
જે જાયું તે જાય
બુલાખીરામ ચકુભાઈ

જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય;

એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય.

અરે અબુધ આદમી! મનમાં શું મલકાય;

ઘાટ થશે તો ઘડી પછી, જે જાયું તે જાય.

ધ્રુજાવતા ધમ ધમ ધરા, પડતાં જેના પાય;

એના નર ઉપડી ગયા, જે જાયું તે જાય.

ફૂંકે પરવત ફાડતાં, કઠણ વજ્રસમ કાય;

ખાધા કાળે ખપરમાં, જે જાયું તે જાય.

રાવણ સરખા રગડમલ, બળીઆ બળી સમ રાય;

કાળે તેને કુટીઆ, જે જાયું તે જાય.

ભોજ સુવિક્રમ ભૂપતિ, ગ્રંથે ગુણ ગવાય;

કાયમ કથને રહ્યા, જે જાયું તે જાય.

પરપોટો જેમ પાણીનો, કાચકળશવત કાય;

વાર લાગે વણસતાં, જે જાયું તે જાય.

અરધી આવરદા ગઈ, હૈયે ધરી હાય;

પછી થકી પસ્તૈશ તું, જે જાયું તે જાય.

કોઈ તને કરનાર નથી, સર્વેશ્વર વિણ સ્હાય;

ખોળ તેહને ખાંત કરી, જે જાયું તે જાય.

તર્યું તેહ બૂડે ખચિત, ભર્યું તેહ ઠલવાય;

ક્યાં ભરૂંસો કાલનો, જે જાયું તે જાય.

મરણ ફરે છે મલપતું, પરઠે જ્યાં તું પાય;

કરે તોય વિચાર ક્યમ, જે જાયું તે જાય.

પ્રતિ દિવસ તું પેખી લે, વાયુ મૃત્યુનો વાય;

બુલાખી તુજ બળ કેટલું, જે જાયું તે જાય.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય રત્ન (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : રમણલાલ નરહરિલાલ વકીલ
  • પ્રકાશક : ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, નરહરિલાલ ત્ર્યંબક્લાલ
  • વર્ષ : 1933
  • આવૃત્તિ : 2