સજ્જન વિષે
sajjan vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(છપ્પા)
તરુવરનો નહિ તાગ, ભાગ્યથી સુરતરુ ભેટે;
હીરા મળે હજાર, કોહિનુર છેકજ છેટે;
બગલા બાણું ક્રોડ, હંસ તો ન મળે હળવો,
સમળા મળે અસંખ્ય, ગરુડ મહિમા ક્યાં મળવો;
જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે,
દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજ્જન મળે.
(દોહરા)
સજ્જન સૌના સ્નેહી પણ, દુષ્ટ તણે મન કાળ;
જગત ચક્ષુ છે સૂર્ય પણ, ઘૂડ ગણે વિકરાળ.
સજ્જનને હરકત કરે, તે જન પામે ક્લેશ;
સ્પર્શ કરે તે પરજળે, અગ્નિને નહિ દ્વેષ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
