Parchuran Chhappa - Chhappa | RekhtaGujarati

પરચૂરણ છપ્પા

Parchuran Chhappa

શામળ શામળ
પરચૂરણ છપ્પા
શામળ

૧.

કોઈ કહે આવ્યો તાવ, કોઈ કહે થયું કોગળિયું;

કોઈ કહે કરડ્યો નાગ, કોઈ કહે વાસી વળિયું;

કોઈ કહે વાધ્યો રોગ, કોઈ કહે શસ્ત્ર વાગ્યું;

કોઈ કહે મારી મૂઠ, કોઈ કહે પાપ લાગ્યું;

ઈશ્વર માથે લેતો નથી, જગતમાંહીં મહિમા જુઓ;

સામળ કહે છે સૌ સાંભળો, માત આવ્યું તેથી મૂઓ.

૨.

પેસે અરણવનીર, તીર ગંગાને બેસે;

ચડે જો પર્વત મેર, કદી પાતાળે પેસે;

પર્વતમાંહી પ્રવેશ, કરે આપે એકાંતે;

ઓષડ અમૃતાહાર, ભમે ભૂલ્યા બહુ ભ્રાંતે;

કિંકર રાખે કોટિધા, સંચ પ્રપંચ ઘણા કરે;

સામળ કહે છે સૌ સાંભળો, મોત આવ્યે નિશ્ચે મરે.

૩.

જે જોયું તે જાય, જે ફૂલ્યું તે ખરશે;

ભર્યું તેહ ઠલવાય, ચડ્યું તે તો ઊતરશે;

લીલું તે સુકાય, નવું તે જૂનું થાશે;

આયુર્દાવશ સર્વ, કાળ સૌકોને ખાશે;

જો કિન્નર જક્ષ ને રાક્ષસો, દેવ ગાંધર્વ ને દાનવી;

મઘવાદિક પણ પોતે મરે, કોણ માત્રમાં માનવી.

૪.

કોઈ આજ કોઈ કાલ, કોઈ માસે કોઈ ખટમાસે;

કોઈ વર્ષ દસબાર, કોઈ પચ્ચીસ પચાસે;

કોઈ સાઠ સિત્તેર, કોઈ પોણોસો એંસી;

જે જાયું તે જાય, નથી રહેવાનું બેસી;

જે નામ તેનો નાશ છે, ધર્મ એવો ધારવો;

કવિ સામળ કહે મૂરખ કરે, ગંદી દેહનો ગારવો.

૫.

જટા ધરે વડવૃક્ષ, પતંગ નિજ બાળે કાયા;

જળચર જળમાં ના’ય, ધ્યાન ધરવા બગ ધાયા;

ગાડર મુડાવે શીષ, અજા મુખ દાઢું રાખે;

ગર્ધવ લોટે છાર, શુક મુખ રામ ભાખે;

વળી મોર તજે છે માનુની, શ્વાન સકળનું ખાય છે;

કવિ સામળ કહે સાચા વિના, કોણ સ્વર્ગમાં જાય છે.

૬.

ઊંચું ભાળે ઊંટ, વાગોળ નીચું ન્યાળે;

તરુવર સહે છે તાપ, પહાડ આસન દૃઢ વાળે;

ઘર કરી રહે નાગ, ઊંદરો રહે છપીને;

નોળીકર્મ ગજરાજ, ભક્ષ ફળપત્ર કપિને;

ઈશ્વર અનુભવ વિણ નવ મળે, સહેજ ભાવના ભંગ છે;

સામળ મનસા સિદ્ધ તેહને, કાથરોટમાં ગંગ છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : 002 (ત્રીજું પુનર્મુદ્રણ)