surgangano diwDo - Bhajan | RekhtaGujarati

સુરગંગાનો દીવડો

surgangano diwDo

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
સુરગંગાનો દીવડો
બાલમુકુન્દ દવે

કંચનકાયા ઘડેલું એક કોડિયું રે,

કે જલતું આદિ તે કાલથી અખંડ;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે.

દીવડામાં તેલ પૂર્યાં ત્રણ ગુણનાં રે,

કે દીવડાની વાટ પડી વરમંડ;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે.

દીવડો ભીંજે ના હો જલધારથી રે,

કે દીવડો ડોલે ના વાયરે લગાર;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે.

દીવડાને ફરતા કિરણના કેવડા રે,

કે અનહદ ભમરાના ગુંજાર;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે.

સૂરજ, ચંદર ને નવલખ તારલા રે,

કે દીવડાનો તો આછો ઉન્મેષ;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે.

દીવડો દાનેશરી ચૌદ લોકનો રે,

કે દીવડાનો તોયે ફકીરી વેશ;

દીવડો સુરગંગાથી ઊતર્યો રે

(૧૯પ૦)

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ