સુણ મૂઢ મતિ વિષય સુખનું મિથ્યાપણું
Sun Mudh Mati Vishay Sukhnu Mithyapanu
ડોસા ભગત
Dosa Bhagat
ડોસા ભગત
Dosa Bhagat
સુણ મૂઢ મતિ, શા માટે મૂંઝાય વિષય સુખમાહીં;
સુખ લેશ નથી, અંત સમે સરવે છે દુઃખદાઈ.
તું દેખ વિચારી એ ક્યાંથી થયું, વળી વણસે ત્યારે ક્યાં જ ગયું;
જો કોણની પાસ અખંડ રહ્યું. – સુણ૦
જેમ મરુસ્થલમાં સરિતા દરશે, જેમ દરપણમાં પ્રતિબિંબ દીસે,
નથી વાસ્તવ પણ તુજને ભાસે. – સુણ૦
જેમ મર્કટ ગુંજ વીણી લાવે, કરી પુંજ ફૂંકથી સળગાવે;
૫ણ ટાઢ રતીભર નવ જાયે. – સુણ૦
સુખ સત્ય ઈચ્છતો હો જ્યારે, ગુરુ ચરણની રજ મસ્તક ધારે;
કહે ‘ડોસો’ વિશ્વપતિ તારે. – સુણ૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 215)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
