Shane mate shoch kare che? - Bhajan | RekhtaGujarati

શાને માટે શોચ કરે છે?

Shane mate shoch kare che?

સુંદરજી સુંદરજી
શાને માટે શોચ કરે છે?
સુંદરજી

શાને માટે શોચ કરે છે? પ્રભુ કરશે તેમ થાશે;

ધારેલ મનના મનસૂબા તે, સરવે ફોગટમાં જાશે.

પ્રભુઈચ્છા વિના કાંઈ નથી બનતું, કરતા હરતા જગસ્વામી;

મન જાણે જે મેં કર્યું, પણ કરનારે અંતરજામી. શાને૦

પાંચ ભાઈ જે પાંડવ કહીએ, જેના સારથી જગકરતા;

એવા નર તે મહાસુખ મૂકી, દુ:ખિયા થઈ વનમાં ભમતા. શાને૦

હરિશ્ચંદ્ર મહારાજા બળિયે, રાજ રૂડી રીતે કરિયું;

૫ણ પરમેશ્વર કોપ્યા ત્યારે, નીચ ઘરે રહી જળ ભરિયું. શાને૦

નળરાજા સતવાદી કહીએ, જેની દમયંતી રાણી;

અરધે વસ્ત્રે વનમાં ભમિયાં, નવ મળિયાં અન્ન ને પાણી. શાને૦

જુઓ સતી સીતાજી મોટાં, જેના જગકરતા સ્વામી;

તેનું રાવણ હરણ કરી ગયો, ત્યારે સતી બહુ દુઃખ પામી. શાને૦

એવા મોટાને દુઃખ પડિયું, બીજાની તો શું કહીએ?

કહે ‘સુંદરજી’ કરી વિનતિ, હરિ રાખે તેમ રહીએ. શાને૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 746)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963