પુરુષોત્તમ
Purushottam
શાને કરે છે વિલાપ, કાયારાણી ! શાને કરે છે વિલાપ રે,
તારે ને મારે હવે કાંઈ નથી, કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી...
ઘણા દિવસનો ઘરવાસ આપણે, ઘણા દિવસનો ઘરવાસ રે,
મૂકી ન જાવ મુંને એકલી, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...
મમતા મેલી દે ને માંયલી, અંતરથી છોડી દે ને આશ રે,
રજા નથી મારા રામની, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...
અઘોર વનની માંય કાયારાણી ! અઘોર વનની માંય રે,
મૂકી ન જાવ મુંને એકલી, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...
શાને કરે છે વિલાપ, કાયારાણી ! શાને કરે છે વિલાપ રે,
ઓચિંતાનાં મુકામ આવિયા, કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી…
ક્યારે થશે મેળાપ, આપણો, ક્યારે થશે રે મેળાપ રે,
વચન દઈને સિધાવજો, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...
હતી ભાડુતી વ્હેલ કાયારાણી ! હતી ભાડુતી વ્હેલ રે,
લેણ-દેણના સંબંધ છે, કાયારાણી ! રે, એમ જીવરાજા કહે છે જી...
નથી દૂર મુકામ, આપણો, નથી દૂર મુકામ રે,
મને આટલે પહોંચાડી સિધાવજો, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...
છેલ્લા હવે રામ રામ, કાયારાણી ! છેલ્લા હવે રામ રામ રે,
જાવું ધણીના દરબારમાં, કાયારાણી ! રે, એમ જીવરાજા કહે છે જી...
પુરુષોત્તમના સ્વામી શામળા, ભક્તો તણા રખવાળ ३,
સાચાં સગાં છે ઈ તો સરવના, કાયારાણી ! રે એમ જીવરાજા કહે છે જી...
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2023
