સોરંગા સાધ
saorangaa saadh
દયાનંદ
Dayanand

શબદ સોરંગા સાધુ હે, જેનાં લક્ષ લાખેણાં,
ગુણ ગરવા ને ગંભીરતા, દીસે નિરમલ નેણાં.
પાકાં મતાં ને પરમારથી, સુરતા શબદે સમાણી,
અંતર ટાળી આપદા, નીરખી નામ નિશાણી. – શબદ૦
શમ દમ સાધી સાધના, વરતી થઈ છે વેરાગી,
સંત સમાગમ સ્હેજમાં, લગની લાલ સે લાગી.
રે'ણી શીલ ને શૂરમા, અંતર આતમ ઉદાસી,
પરખ્યા પૂરણ બ્રહ્મને દીસે પ્રેમના પિયાસી. —શબદ૦
ધ્યાન ધીરજ ને ધારણા, ગુરુગમ જ્ઞાન હુલાસી,
દાસ દયો કરું વંદના, ઓળખી આપ અવિનાસી.
શબદ સોરંગા સાધુ હૈ,
જેનાં લક્ષ લાખેણાં.



સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1991