sanman re san tamne gurujini kahun - Bhajan | RekhtaGujarati

સાનમાં રે સાન તમને ગુરુજીની કહું

sanman re san tamne gurujini kahun

ગંગાસતી ગંગાસતી
સાનમાં રે સાન તમને ગુરુજીની કહું
ગંગાસતી

સાનમાં સાન એક ગુરુજીની કહું, પાનબાઈ!

જેથી ઊપજે આનંદના ઓઘ રે,

સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે,

તેને મટી જાય માયા કેરો ક્ષોભ... સાનમાં૦

ભાઈ રે ! ચૌદ લોકથી વચન છે ન્યારું, પાનબાઈ,

તમે તેની તો કરી લિયો ઓળખાણ,

જથારથ બોધ વચનનો જોતાં, પાનબાઈ,

મટી જાય મનની તાણવાણ... સાનમાં૦

ભાઈ રે ! વચન થકી ચૌદ લોક રચાણા,

વચન થકી ચંદા ને સૂર,

વચન થકી રે માયા ને મેદવી,

વચન થકી વરસે સાચાં નૂર... સાનમાં૦

વચન જાણ્યું તેણે સરવે જાણ્યું, પાનબાઈ,

તેને કરવું પડે નૈ બીજું કાંઈ,

‘ગંગા રે સતી’ એમ કરી બોલિયાં રે,

તેને નડે નહિ માયા કેરી છાંઈ... સાનમાં૦

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : 1