આત્મારામ
Aatmaram
સખી પડવે તે પંથે ચાલ્યા રે,
મહા વનના તે મારગ ઝાલ્યા રે;
સાથે સીતા ને લછમન બાલા,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી બીજે મઢીમાં બિરાજે રે,
રૂડી નદીઓ તણાં નીર ગાજે રે;
રામ મેલી ગયા રૂડું રાજે,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી ત્રીજે તે વન કેરી ઝાડી રે,
વનફળ મંગાવે છે દહાડી રે;
સારી શોભે સીતાજીની વાડી,
રઘુપરિ રામ રૂદયામાં રહેજો રે.
સખી ચોથે કેવડિયો મહેકે રે,
ફાલ્યોફૂલ્યો તે મોગરો મહેકે રે;
લીલી લતાઓ વન તણી લહેકે,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી પાંચમે પોપટ પાળ્યો રે,
પાંખ લીલી ને કાંઠલો કાળો રે;
મુખે રામ ભણંતો ભાળ્યો,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી છઠે છેતરવા આવ્યો રે,
કૂડો કપટી રાવણ સાથ લાવ્યો રે;
સુવર્ણમુખનો મૃગ બનાવ્યો,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી સાતમે શ્રીહરિ સમર્યા રે,
વાડી ભેળી ઉરડ્યા ભમરા રે;
ડંખ સહિત તાણ્યા છે ડમરા,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી આઠમે રામે નિહાળ્યો રે,
ધનુષ ધારીને મૃગલો માર્યો રે;
મૃગ મરતાં એમ નામ પોકાર્યો,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી નોમે તે નાખ્યું તીર રે,
જઈ વાગ્યું મૃગને શિર રે;
ધાજો ધાજો લક્ષ્મણ વીર,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી દશમે સીતા કહે લક્ષ્મણને રે,
બેલી વીરો બોલાવે છે તમને રે;
આડી આણ દીધી છે અમને,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી એકાદશી અપવાસી રે,
લંપટ લેવાનો લાગ તપાસી રે;
રાવણ સીતાને લઈ ગયો નાસી,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી બારસે હનુમાન બળિયો રે,
ઠેકી સમુદ્ર પાર નીકળિયો રે;
જઈ જોગમાયાને મળિયો,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી તેરસે ત્રંબાળુ ગાજે રે,
હાક હનુમાન કેરી વાગે રે;
લાય લંકા તે ગઢમાં લાગે,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી ચૌદશે ચિત્ત વિચારી રે,
ફોજ વાંદરાની રચી સારી રે;
રામે રાવણને નાખ્યો મારી,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી પૂનમે પ્રભુજી આવ્યા રે,
થાળ ભરી મોતીડે વધાવ્યા રે;
માતા કૌશલ્યાને મન ભાવ્યા,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સખી પંદરે તિથિ થઈ પૂરી રે,
એમાં એકે નથી અધૂરી રે;
‘આત્મારામ’ની વાણી મધુરી,
રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 19)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
