sadhu samran shun kare - Bhajan | RekhtaGujarati

સાધુ સમરણ શું કરે

sadhu samran shun kare

અભરામ બાવા અભરામ બાવા
સાધુ સમરણ શું કરે
અભરામ બાવા

સાધુ સમરણ શું કરે સમરણ કેમ થાય

જેને જોવા ઇચ્છા કરે, તે પોતાની માંય,

સાધુ સમરણ શું કરે, અનભે ઉપજે ગિનાન જી.

બોલે તે તો બીજો નહીં રે, ધરીએ કેનું રે ધ્યાન !

જેને ખોળ્યાની ખાંતો ઘણી, તે છે પેાતાની માંય... સાધુ૦

મહા જળમાં તે એક મીન વસે રે, તેની તૃષ્ણા નવ જાય,

કસ્તુરી છે કમળ માંહી, મરઘ વનમાં અફળાય... સાધુ૦

નવાણે નીર નિર્મળ રે, કીચડ ગંદું થાય,

સરિતા સાગરમાં જઈ મળે રે, જળમાં જળ રે સમાય... સાધુ૦

પકવાન કીધાં એક ખાંડનાં રે, તેમાં ન્યારાં ન્યારાં નામ,

ભાત જોઈને ભૂલા પડ્યા, ખેાળ અસલી ઠામ... સાધુ૦

જપ તપ વ્રતથી વેગળા રે, તીરથ અડસઠ નહાય,

કાયા કરમ છૂટે નહીં, મનના મેલ જાય... સાધુ૦

ભેખ લઈ ભગવાં કરે રે, એને ઉદર ના ઉપાય,

ભીતર જાણે નહીં રે, બાવો સિદ્ધ કહેવાય... સાધુ૦

ઈલમ પઢે તે આંખે ના સૂઝે રે, ઘરમાં ઘોર અંધાર,

આત્માને ઓળખ્યો નહીં રે, જગમાં જોશી કહેવાય... સાધુ૦

કૂવામાંનો કાચબો રે , શું જાણે સમુદ્રની વાત,

હંસાને હેઠો ગણે રે, વખાણે પોતાની જાત... સાધુ૦

નટકળા નરભો કરે રે, રખે પૂરતા ચાલ,

સતની સુરતે સુધારજો, ઊતરશો ભવપાર.. સાધુ૦

સાચા ગુરુની સેવા કરો રે, પૂરે મનની આશ,

જીવ શિવનો સાંસો મટે, વિનવે 'અભરામદાસ'... સાધુ૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 661)
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • પ્રકાશક : 'સાહિત્ય' સામયિક, એપ્રિલ
  • વર્ષ : 1992