રામરટણ કર નિશદિન ભાઈ
Ramratan kar nishdin bhai
દયાનંદ
Dayanand
દયાનંદ
Dayanand
રામરટણ કર નિશદિન ભાઈ, રાગદ્વેષ નહિ આવે રે;
ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહં રામ દરસાવે રે. રામરટણ૦
સોહં રામ સકલમાં દરસે, આપે બોલો ને બોલાવે રે;
પાંચ, પચીસ, તીન, એંગણીસમાં, કર્તા-અકર્તા કહાવે રે. રામરટણ૦
બાવન અક્ષર બહાર તે બોલે, રામ સુણે ને સુણાવે રે;
રામ હી દેખત રામ દેખાવત, રામ અદેખ હોઈ જાવે રે. રામરટણ૦
રામ હી લેતા રામ હી દેતા, રામ ચરણથી ચલાવે રે;
રામ હી ઊઠત રામ હી બેસત, રામ સોવે ને જગાવે રે. રામટણ૦
રામ હી ખાવત, રામ હી પીવત, રામ હી ભોગ લગાવે રે;
રામ હી રાગી મનમાં બેરાગી, રામ–જોગે રામ ગાવે રે. રામરટણ૦
રામ હી જપિયા રામ હી તપિયા, રામ રમે ને રમાવે રે;
રામ વિના એક અણુ નહિ ખાલી, હરિ બિન પત્ર ન હાલે રે. રામટણ૦
અકલ ખેલ સોહં રામ આપે, ગુરુ બિના પાર ન પાવે રે;
‘દયાનંદ’ કેવળ રામ સમરી, નિત્ય રહે છે નિરદાવે રે. રામરટણ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 152)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
