રામને વિસારીને તેં શું કીધું જી?
Ramne visarine te shu kidhu ji
હરિદાસ મહારાજ
Haridas Maharaj
હરિદાસ મહારાજ
Haridas Maharaj
રામને વિસારીને તેં શું કીધું જી? કંચન મેલી કથીર લીધું!
હેતે હરિનું નામ ન લીધું, અમૃત મેલીને વિખ પીધું.
આવ્યો અવસર તેં એળે ખોયો, મૂરખ માનવી માયામાં મોહ્યો;
જનમ પદારથ તેં કાંઈ ન જોયો, આંબો ઉખેળી બાવળ બોયો. રામને૦
ભવસાગરમાં તું ભટકાણો, ઓરો આવે તો મોંઘો મૂલ;
કામ-ક્રોધની વચ્ચે ડૂલ્યો, ભાવ ભજન ને ભક્તિ ભૂલ્યો. રામને૦
ડહાપણમા તું તે ડોળાણો, આશા મેલીને અથડાણો;
જેમ વીંટાણો વાણો–તાણો, એમ સંસારિયામાં પરોવાણો. રામને૦
કહે ‘હરિદાસ’ તમે ભજો ટાણે, આવે ન અવસર ખર્ચે નાણે;
હૃદયે વિચારી જે નર જાણે, પ્રેમ તણો રસ તે પરમાણે. રામને૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 769)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
