રામબાણ વાગ્યાં હોય તે જાણે
Ramban vagya hoy te jane
ધના ભગત
Dhana Bhagat
ધના ભગત
Dhana Bhagat
રામબાણ વાગ્યાં હોય તે જાણે ! પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ? રામબાણ વાગ્યાં હોય તે જાણે.
ધ્રુવને લાગ્યાં, પ્રહ્લાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં, એ તો વેદ-વચન પ્રમાણે. રામબાણ૦
મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઈ તાણે. રામબાણ૦
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખડગ જ તાણે;
વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. રામબાણ૦
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા, એવું ‘ધનો ભગત’ ઉર આણે. રામબાણ૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
