paripuran satsang - Bhajan | RekhtaGujarati

પરિપૂરણ સતસંગ

paripuran satsang

ગંગાસતી ગંગાસતી
પરિપૂરણ સતસંગ
ગંગાસતી

પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને

આપું જોને નિરમળ જ્ઞાન રે,

જનમવા મરવાનું તમારું મટાડીને

ધરાવું અવિનાશનું ધ્યાન રે.

નામ રૂપને મિથ્યા જાણે ને

મેલી દેજો મનની તાણાવાણ રે,

આવી બેસો એકાંતમાં ને તમને

પદ આપું નિરવાણ રે... પરિપૂરણ૦

સદા રહો સતસંગમાં ને

કરો અગમની ઓળખાણ રે,

નૂરત સૂરતથી નિજનામ પકડીને

જેથી થાય હરિની જાણ રે... પરિપૂરણ૦

મેલ ટળે ને વાસના ગળે ને

કરો પૂરણનો અભિયાસ રે,

'ગંગાસતી' એમ બોલિયાં

થાય મૂળ પ્રકૃતિનો નાશ રે... પરિપૂરણ૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1