Odhavaji madhav re meli kem gya - Bhajan | RekhtaGujarati

ઓધવજી માધવ રે મેલી કેમ ગયા

Odhavaji madhav re meli kem gya

રઘુનાથદાસ રઘુનાથદાસ
ઓધવજી માધવ રે મેલી કેમ ગયા
રઘુનાથદાસ

ઓધવજી માધવ રે મેલી કેમ ગયા, કહોને વીરા શો છે અમારો વાંક જો;

નમેરા થયા રે નંદના લાલજી, રણુવગડામાં રોતાં મેલ્યાં રાંક જો. ઓધવજી૦

ધીરજની વાતો રે ધરથી સાંભળો, પેલી પ્રીતે હાર્યા અમારા પ્રાણ જો;

કાળજડાં છેદ્યા રે ભીતર ભેદિયાં, મરમ કરીને માર્યાં મોહન બાણ જો. ઓધવજી૦

ખાધાં ને પીધાં રે ખરચ્ચાં વાવર્યાં, એને અમારે અણવેચી મિરાંત જો;

લજ્જા તો લોપી રે દુરિજન લોકની, મોહન માટે તજ્યાં કુટુંબ ને જાત જો. ઓધવજી૦

વલોણું વલોવતી હું તો ત્યાં જઈ, કહેતી હું તો જાગો જશોદા માત જો;

મહીડાંને મિષે મળતી મહારાજને, તેને મિષે કરતી વળી હું વાત જો. ઓધવજી૦

પરભાતે પાણી રે જમુના હું જતી, શેરડિયોમાં સામા મળતા શ્યામ જો;

અલબેલો કરતો રે અમ-સું અતિ ઘણાં, જૂઠા ઝગડા જોતું બાધું ગામ જો. ઓધવજી૦

ઉઘાડો રમતો રે મારે આંગણે, છોકરડામાં માગી પીતો છાશ જો;

માખણને મિષે રે મચકે નાચતો, અલબેલાની મોટી અમને આશ જો. ઓધવજી૦

મેળાવો કરતો રે ઝાઝાં માંકડાં, સૂનાં ઘરમાં જઈને કરતો સાન જો;

બાળકડાં બીજાં અવસર આવતાં, દહી ગોરસડાં પાતો સહુને કાન જો. ઓધવજી૦

મોભારે ચઢતો રે માખણ ચોરવા, રાડ લઈને કરતો રસની રેલ જો;

લાખેણી લીલા રે એવી લાલની, ખાંત કરીને કરતો નવલા ખેલ જો. ઓધવજી૦

વિસ્તારી વાતો રે કીજે કેટલી, સાંભરતામાં થાય ઘણો સંતાપ જો;

‘રઘુનાથ’ના સ્વામીને સરવે સાંભરે, તમે તમારું જુવો વિચારી આપ જો. ઓધવજી૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 805)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927