રઘુનાથદાસ
Raghunathdas
ઓધવજી અમ સાથે રસિયો રૂસણે, રિસાયા ક્યમ કોને દિલની વાત જો;
આંટી ને ઘૂંટી તો અમે નવ જાણિયે, મોહનજીના મનમાં મોટી ઘાત જો. – ઓધવજી૦
લક્ષણ સૌ જાણ્યા રે લેભી લાલનાં, ગુણવંત પણ ગાયોનો ગોવાળ જો;
આહીરડો શું જાણે રસની રીતમાં, કાનુડો કાંઈ કૂડાં ચડાવે આળ જો. – ઓધવજી૦
જીવન સંગે રમવા જોબન જાળવ્યાં, બાળપણામાં ખાંતે કરતાં ખેલ જો;
મનડાંની વાતો સૌ મનમાં રહી, મેલી ગયા કંઈ દુઃખડાં કેરી હેલ જો. – ઓધવજી૦
વચને અમને વાહ્યાં રે એ વિઠ્ઠલે, જાતાં જાતાં જૂઠો દીઘો કોલ જો;
છોકરડાં સરખે રે, અમને છેતર્યાં, તજી ગયો જો તસ્કરનો શો તોલ જો. – ઓધવજી૦
મહિયરિયે જાઉં તો મુજને ખીજવે, સાસરિયામાં સાસુનો સંતાપ જો;
નાનીને નણદલ રે બાળે બોલડે, પૂરણ લાગ્યાં પાડેશણનાં પાપ જો. – ઓધવજી૦
દુઃખડાંની વેળાએ સુખડાં સાંભરે, અંત સમે તો કોય ન આવે કામ જો;
સગપણ તો સોનું રે પિત્તળ પ્રીતડી, વાલપણામાં વેર કરી ગ્યા શ્યામ જો. – ઓધવજી૦
દયા નવ આવી રે દિલથી ઊતર્યાં, દાસીનો તો દોષ ન જાણ્યો કાંય જો;
પરમેશ્વર જાણીને પ્રીતે પૂજતાં, હરિજીને અમે હાથે કરતાં છાંય જો. – ઓધવજી૦
ભણકારા વાગે છે ભોજન પિરસતાં, જમણ કરીને જોઈએ હરિની વાટ;
સાસુજી પૂછે રે વહુઅર સાંભળો, આનંદ કરતાં આવડે શો ઉચ્ચાટ જો. – ઓધવજી૦
અવગુણને ગુણ શાં રે અબળા રાંકના, વાંક ઘણો પણ વિનતા સંગ શું વેર જો;
‘રઘુનાથ’ના સ્વામીને કહેજો એટલું, ઘણી થઈ હવે પ્રભુ પધારો ઘેર જો. – ઓધવજી૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 804)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
