રઘુનાથદાસ
Raghunathdas
ઓધવજી આવ્યા રે વેગે વ્રજમાં, મથુરાથી મોકલિયા છે એમ જો;
વાલાને વાલાં રે વ્રજ આહીરડાં, ગોપીજનનો જોવા કારણ પ્રેમ જો. – ઓધવજી૦
ગોકુળની શોભા રે સુંદર શી કહું, નેહે આવ્યા નંદજીને ભવન જો;
પુરુષોત્તમ જાણીને મળિયાં પ્રેમ-સું, પ્રીત કરીને કરાવિયાં ભોજન જો. ઓધવજી૦
કુશળતા પૂછી રે વસુદેવની, કુંવરનાં સંભારી સઘળાં કામ જો;
જસોદા રૂવે ને સુખડાં સાંભરે, સહુ કો’ કહે કેમ નાવ્યા સુંદર શ્યામ જો. – ઓધવજી૦
વાંસળિયો ને વલોણાં વાગે ઘણાં, ઘેર ઘેર ગાયે ગોકુળિયામાં ગીત જો;
આ મંગળ કીધાં રે દશ દિશા તણાં, ત્રણ લોકમાં કરે છે પુન્ય નિત્ય જો. – ઓધવજી૦
આંગણિયે આવી રે સરવે ગોપિયો, રથ કંઈ છૂટ્યો દીઠો નંદને દ્વાર જો;
અધર્મી અક્રૂર ફરી આવ્યો હશે, એ જ ઘોડો ને એ જ દીસે અસ્વાર જો. – ઓધવજી૦
આ૫ણા સ્વામીને એ તેડી ગયો, તેણે ત્યાં જઈ મરાવ્યો છે કંસ જો;
પ્રાણ લઈને પાછો કેમ આવ્યો હશે, માસીસો કરવાને લેશે માંસ જો. – ઓધવજી૦
જમુનાજીમાં નાહીને એટલે આવિયા, જુવતિયે તો જાણ્યા શ્રી ભગવાન જો;
‘રઘુનાથ’ના સ્વામી સેવક ઓળખ્યા, અરસપરસ ત્યાં દીધાં ઝાઝાં. માન જો. – ઓધવજી૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 803)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
