niwritti prwritti parkhi ek - Bhajan | RekhtaGujarati

નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક

niwritti prwritti parkhi ek

ઉગારામ ઉગારામ
નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક
ઉગારામ

નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક, સંકલ્પ દૂર કરો.

જીવન મુક્તિ જાણી તમો, સંતોષ વરને વરો.

અવલ કવલની છે સાધના, તેનું સહેજે સમરણ કરજો,

અનાદિ વચન છે ગુરુદેવનું, તેનું ધ્યાન તમે તમારી નાભિમાં ધરજો... નિવૃત્તિ૦

પોતાના પુન્યના પારખાં, તે ગુપ્તદાન તમે દેજો,

આમાં શાંતિ તપ સોહંમ છે, તે તમારો આત્મા ઓળખી લેજો... નિવૃત્તિ૦

વૃક્ષ રૂપ એક છે, તેમાંથી ડુવાદશ પ્રગટિયા ડાળા,

અનુભવથી ઓળખો તો સોહંમપદ બાવન અક્ષરથી છે બારા... નિવૃત્તિ૦

દમ કદમના દોરમાં, નિરભેપદને તમે નિહાળો,

દશમાં સોહંમમાં સુરતા લગાવો તો, ઝરે અખંડિત ઝારો... નિવૃત્તિ૦

સતગુરુજીએ વચન સુણાવ્યો, જરાય નથી જૂઠો,

સત્સંગ રૂપી પાટી કરી, વચન વતરણેથી એક એકડો ઘૂંટો... નિવૃત્તિ૦

અનુભવી સ્કૂલ(?)માં, અભય વચન સતગુરુએ સુણાવ્યા,

દાસ ‘ઉગા’ને સતગુરુ હીરસાગર મળ્યા, દેહીમાં દર્શાવ્યા... નિવૃત્તિ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001