નાનીબાઈ
Nanibai
મહેતા રે અમો માધવજીના, લખીએ એનું નામું રે;
મગ્ન રહીએ માધવ સાથે, સરે સઘળાં કામું રે. મ૦
ખાસી ખીજમત એની કરીએ, મહિનો આપે રોક રે;
વર્ણવી ચારે જોયું વિરંચી, અવર તે સર્વે ફોક રે. મ૦
જેનું નામું ફરીને જોયું, જેમ હતું તેમ સાર રે;
તત્ત્વ જાણીને તેને જીએ, ઉતારે ભવપાર રે. મ૦
સર્વ હતું તે એને સોંપ્યું, એક જ નામે રહીએ રે;
હૈયે રાખ્યું નામ હરિનું, બીજું કાંઈ ન કહીએ રે. મ૦
લેખું લખીએ લક્ષ્મીવરનું, જેમાં હાંસલ મોટું રે;
વિશ્વાસે વળગીને બેઠાં, અવર તે કહેવું ખોટું રે. મ૦
અમારે આધાર તમારો પ્રભુજી, નિરખીને ગુણ ગાઉં રે;
પ્રેમ તમારો અમારે પ્રભુજી, જેથી અમર થાઉં રે. મ૦
નામ તમારું નિર્ભય પ્રભુજી, વિસારીએ નહીં જાપો રે;
જે વિશ્વાસે તમને વળગે, તેને અમર કરી થાપો રે. મ૦
મન સાથે અમો માધવ ભજીએ, તત્ત્વ સાર તે દીઠું રે;
વળગે તેને વૈકુંઠ પમાડો, અમને લાગે મીઠું રે. મ૦
સંસારને અર્થે અવતરિયા, કરવા સર્વનું કાજ રે;
જે કોઈ આવે શર્ણ તમારે, આપો અવિચળ રાજ રે. મ૦
અમે તમારા સેવક પ્રભુજી, આવ્યાં કરી ઉલ્લાસ રે;
નાનીબાઈને ચર્ણે રાખો, પૂરો મનની આશ રે. મ૦
સ્રોત
- પુસ્તક : નવીન કાવ્યદોહન (પૃષ્ઠ ક્રમાંક 664)
- સંપાદક : હરિલાલ હ. મુનશી
