કોઈ શોધી લાવે મારા નાથને
Koi Sodhi lave mara nath ne
રણછોડ
Ranchhod
રણછોડ
Ranchhod
કોઈ શોધ લાવે મારા નાથને, તેને નવનિધ આપું;
મોતીડે વધાવું તેહને, કષ્ટ કોડેથી કાપું !
સખી કોઈ સમજાવીને, ઘેર તેડી રે લાવે;
કઠણ હૈયાના કાનજી, સંદેશો ન કહાવે ! કોઈ૦
કોઈ ગુણવંતી ગોરડી, પ્રીતમજીને પૂછે;
શા માટે રિસાઈ ગયા? તેનું કારણ શું છે? કોઈ૦
મુજને મૂકીને જોગી થયા, કે કોઈએ ભરમાવ્યા?
કોને ભરોસે મૂકી ગયા? હજુ ઘેર ન આવ્યા. કોઈ૦
કાંઈ સમજણ પડતી નથી, રહું નિત્ય ઉદાસી;
વસમું લાગે મુંને વિઠ્ઠલા, મથુરાના રે વાસી. કોઈ૦
અનેક અપરાધ ક્ષમા કીજીએ, કહું છું શિર નામી;
વા’લમાં વે'લા આવજો, ‘રણછાડ’ના સ્વામી ! કોઈ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 657)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
