કર્મ તણા ફળમાં શું અટકયો
Karm Tana Falama shu atakyo
ડોસા ભગત
Dosa Bhagat
ડોસા ભગત
Dosa Bhagat
કર્મ તણા ફળમાં શું અટકયો, અંતે છે દુઃખદાઈ રે;
બ્રહ્મ વિચાર નિમિષભર કરતાં, તે ફળ સે'જ સુહાઈ રે.
પ્રાપ્ત થવાનું જે ફળ ધારે, અડસઠ તીરથ નાઈ રે;
ક્ષણભર આત્મવિચાર તણું ફળ, સહસ્ત્રગણું સુખદાઈ રે. – કર્મ તણા૦
પૃથ્વીદાન થકી વધતું ફળ, તત્ત્વવિચારનું ભાઈ રે;
ગીતામાં પણ કહી ગયા છે, શ્રીપતિ મુખથી ગાઈ રે. – કર્મ તણા૦
અશ્વમેધ શત યજ્ઞ કર્યેથી, સ્વર્ગલોકમાં જાઈ રે;
ક્ષીણે પુણ્યે મૃત્યુલોકે, પાછો ત્યાંનો ત્યાંઈ રે. – કર્મ તણા૦
આત્મવિચાર ઘડીભર કરવા, મનની કરી સ્થિરતાઈ રે;
તે ફળથી તુજ પિતૃ ઉદ્ધરશે, સ્વર્ગલોકની માહીં રે. – કર્મ તણા૦
વેદ વચન ગુરુમુખે સુણીને, ધારે અંતરમાહીં રે;
વિશ્વનાથ ગુરુ પ્રસાદ ‘ડોસા’, અનહદ કીન કમાઈ રે. – કર્મ તણા૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 205)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
