કાંઈ કરને વિચાર
kai karne vichar
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
કાંઈ કરને વિચાર, આવ્યો ક્યાંથી જીવડા ને ક્યાં જાવું?
તારું તું જ તપાસ, લાવ્યો શું ને સાથે શું લેઈ જાવું?
માયા છે મોહનની નારી, તેને મૂરખ માને છે મારી;
તન તૂટે ફજેતી છે તારી. કાંઈ કરને વિચાર૦
પ્રાણી પંચવિષય તુજને ભાવે, વળી જગત પદારથ જે કહાવે;
એ અંતે ભેળા નહીં આવે. કાંઈ કરને વિચાર૦
ધન નારી વિષે મનડું જાવે, તે સ્વારથિયાં સઘળાં કહાવે;
એ અંતે ભેળાં નહીં આવે. કાંઈ કરને વિચાર૦
કોટી જન્મ લગી ધરી તેં કાયા, તોયે છૂટી નહીં જગની માયા;
વળી વહેમ વિષે લેગે વાહ્યા. કાંઈ કરને વિચાર૦
દીસે મૃગજળ-તૃષ્ણા બહુ ભારી, વપુ પીવાનું તે નહીં વારિ;
કહે ‘ગણપત’ ભજને ગિરિધારી. કાંઈ કરને વિચાર૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
