Je koi sadaguru sharne jay - Bhajan | RekhtaGujarati

જે કોઈ સદ્ગુરુ શરણે જાય

Je koi sadaguru sharne jay

મનોહરદાસ નાનકડા મનોહરદાસ નાનકડા
જે કોઈ સદ્ગુરુ શરણે જાય
મનોહરદાસ નાનકડા

જે કોઈ સદ્ગુરુ શરણે જાય, તેના સંશય દૂર પળાય.

કામ ક્રોધ મદ મોહ મત્સર, આશા તૃષ્ણા લય થાય;

અતિશયિતાદિક રોષ વિષયના, ઉરમાં નવ દેખાય. જે૦

તેથી દ્રઢ વૈરાગ ઉપજે, સત્યાનૃત્ય જણાય;

શમ દમ ઉપરતિ સહન શક્તિથી, દૃઢ વિશ્વાસ બંધાય. જે૦

સમાધાન સ્વરૂપમાં જાણી, ઈચ્છા અતિશય થાય;

વાક્ય વિચાર નિરંતર કરતાં, બ્રહ્મરૂપ દરશાય. જે૦

અજ્ઞપણું તત્કાળ આળસે, નિત્યાનંદ જણાય;

માયિક ભેદ બુદ્ધિ મેલીને, નિજપદમાંહે સમાય. જે૦

સમરસ વ્યાપક સચ્ચિદઆનંદ, રૂ૫ થઈ વિલસાય;

‘મનોહર’ મરણ તણો ભય ભાગે, જીવનમુક્ત કહેવાય. જે૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 738)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927