બૂટાજી
Butaji
અવિચળ કોઈ નહિ રે, મન તું કર કો’ની આશ !
સ્વપ્રવત્ સંસાર દીસે, સમજ પદ અવિનાશ.
આ૫ મૂલ ને સ્થૂલ સૂક્ષ્મ, વૈરાટ ચૌદે લોક;
બ્રહ્માંડ દીસે વણસતું, માંડણી માંહી તે ફોક. અવિચળ૦
કલ્પનાએ કહીએ રે, વાણીએ કહીએ જેહ;
કાલ કરતવ્ય જેટલું ભાઈ, અંતે વણસે તેહ. અવિચળ૦
સન્નિપાત શરીરનો, સમયે ન પરગટ થાય;
ભુવન કેરા ભૂપતિ તે, ઘર તજી વન જાય. અવિચળ૦
ચાર વરણ ને ચાર આશ્રમ, અવસ્થા છે સાર;
તેને અધિકારે ઉપદેશ દેવો, ગ્રંથનો એ વિચાર. અવિચળ૦
વૈરાગ્ય-અંજન ગુરુ આંજે, ત્યારે ઊઘડે આંખ;
પડળ સઘળાં પરાં થાયે, શાસ્ત્ર પૂરે શાખ. અવિચળ૦
અવિદ્યાને એાળખી, વિદ્યા વડે કરે નાશ;
પછી વિદ્યા મૂક મધ્યે, ઊપજે સંન્યાસ. અવિચળ૦
દ્વૈત સઘળું ટાળતાં, અદ્વૈત થઈ રહેવાય;
મહામંત્ર મહાપુરુષનો, હંસથી ગ્રહવાય. અવિચળ૦
થાતાં તે થાયે નહિ રે, જાતાં નહિ ઝટ જાય;
પિંડ પર પરમાત્મ તે, જ્યમનો ત્યમ સદાય. અવિચળ૦
દેહભાવે ન દેખીએ રે, આત્મભાવે નિત્ય;
એ લે સમજણ ‘બૂટિયા’ રે, અનુભવીની રીત. અવિચળ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 523)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
