અંતે એ જ પ્રભુ અલબેલા લેવા આવશે
ante ae ja prabhu albela leva aavshe
અનંતપ્રસાદ
Anantprasad
અનંતપ્રસાદ
Anantprasad
અંતે એ જ પ્રભુ અલબેલા લેવા આવશે, રે દયા દર્શાવશે રે.
નાડો બધી તૂટતી જાશે. વ્યાકુળ જીવ ઘણો ગભરાશે;
ત્યારે સત્વર શાંતિ હૃદે રેલાવશે રે. અંતે એ જ પ્રભુ૦
દુઃખ સૌ દેહનાં દૂર નિવારી, વ્હાર કરશે દીનબંધુ મુરારિ;
મનહારી નિજ રૂપ આવી જણાવશે રે. અંતે એ જ પ્રભુ૦
જગતમોહ સઘળો વિસરાવી, દિવ્ય જ્ઞાન દિલમાં પ્રગટાવી,
પરા-ભક્તિની પૂરણ મજા બતાવશે રે. અંતે એ જ પ્રભુ૦
અતિ ઉમંગે નીકળી તનથી, દિવ્ય દેહે શોભતા વદનથી;
અનંત શ્રીવૈકુંઠ વિષે જ સિધાવશે રે. અંતે એ જ પ્રભુ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર : ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 13)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1963
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
