આળસ તજને રે જીવ અભાગી
Aalas tajne re jiv abhagi
ગૌરીશંકર
Gaurishankar
ગૌરીશંકર
Gaurishankar
આળસ તુજને રે જીવ અભાગી, તારી પૂઠે રહ્યો જમ લાગી.
શે સુખે તું સૂતો શૈયામાં, તજ નિદ્રા હતભાગી;
સાવધ થૈ જરા જોને વિમાસી, ગ્યા બારપરે બે વાગી. – તારી૦
બાળ યુવા ખોઈ ફેલ ફિતૂરમાં, આવી જરા ઝટ લાગી;
કાંઈક કર કર સુકૃત સમજી, મમતા વિષય પરિત્યાગી. – તારી૦
નિશ્ચય જાણજે અવિચળ આંહી, રહેવું નથી રસ રાગી
આજકાલ કે માસ છમાસે, જવું જરૂર તન ત્યાગી. – તારી૦
ભવજળ તારણ અધમ ઓધારણ, કારણ કરણ સુહાગી;
‘ગૌરીશ’નું ધર ધ્યાન નિરંતર, અંતર થઈ અનુરાગી. – તારી૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 115)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
