prahladyakhyan ansh - Akhyan | RekhtaGujarati

પ્રહ્લાદયાખ્યાન અંશ

prahladyakhyan ansh

કાળિદાસ કાળિદાસ
પ્રહ્લાદયાખ્યાન અંશ
કાળિદાસ

‘’બાળા, દેખાડ દેખાડ તારા વૈકુંઠપતિ, એમ હોકારે બકોરે બોલે મૂઢમતિ;

હું તો મનમાં રાખુ કેની બીક રતિ, બાળા દેખાડ દેખાડ તારો વૈકુંઠપતિ.

હમણાં પ્રહાર કરીને તારા પ્રાણ હરું, ત્યારે હિરણ્યકશિપુ મારું નામ ખરું;

હું તો બ્રહ્માંડમાં ભય કોનો નવ્ય ધરું, બાળા દેખાડ દેખાડ તારો વૈકુંઠપતિ.

હું તો વેરીતણે છળે બળે માર્યો નવ મરું, વર બ્રહ્માએ આપ્યા તે અભિમાન ધરું;

તેણે સકળ ભુવનમાંહે ફુલ્યો ફરું, બાળા૦

મુને શું કરે તારો રામ રીશ કરી, મારી સન્મુખ શકે ધીર ધરી;

ગયો વૈકુંઠ નાશી મારે ત્રાસે કરી, બાળા૦

વર બ્રહ્મા તણો મિથ્યા કરે કોણ વળી, જેથી પ્રગટી સૃષ્ટિ વિવિધ સઘળી;

મુને સહાય થયો છે તપમાં રે મળી, બાળા૦

એવો દિવસ કયો જે દેખું દેવ હરિ, જુદ્ધ કરુ તેની સાથે કર ખડ્ગ ધરી;

પેહેલો મળે તો મેલું બીજી વાત પરી,” બાળા૦

એવું વચન સુણીને બોલ્યો બાળ મુખે, ”રાજા બળ શાને કરો બેસી રહોની સુખે;

હું તો દુબળો થાઉં છું તમારે દુઃખે, દાદા દેખાડું શું, રામ મારો રહ્યો છે વ્યાપી;

બધી સૃષ્ટિ સુરાસુર એણે થાપી, દાદા દેખાડું શું, રામ મારો રહ્યો છે વ્યાપી;

મારો પ્રભુજી વસે છે ત્રૈલોક વિષે, એને જાણતા આપણથી દૂર રખે;

નથી બ્રહ્માંડ કોઈ મારા નાથ પખે. દાદા૦

તો આત્મ-સ્વરૂપી સહુ માંહે વસે, જેમ દર્પણ માંહે પ્રતિબિંબ ધસે;

તેમ સઘળે ગોવિંદ અળગો ખસે.” દાદા૦

ત્યારે બોલિયો અસુર મન ક્રોધ થકે, “અલ્યા જાણ્યું અજાણ્યું કેટલું બકે;

એક સ્થંભથી ઠાકોર તારો પ્રગટી શકે?” બાળા૦

એવું સુણી બાળક કર જોડી કહે, ”મારા સ્વામીજી મહિમા તો સત્ય લહે,

હુંમાં તુંમાં સ્થંભ ખડ્ગ સહુમાં રહે.” દાદા૦

પછી પ્રહ્લાદ સંભારે વૈંકુઠધણી, નિરખી પ્રેમેશું જોયું ત્યાં સ્થંભ ભણી;

માંહે દીઠા નરસિંહ ત્રૈલોક ધણી, દાદા૦

દેખી સ્થંભને પ્રહ્લાદે પ્રણામ કર્યો, મન આનંદ આણી પ્રદક્ષિણા ફર્યો;

એવું દેખીને દાનવપતિ ક્રોધે ભર્યો, બાળા૦

બાંધો સ્થંભશું વછૂટે ઉઠ્યો ખડ્ગ ધરી, દાઢી મૂછ પછાડી દોડી દોટ દઈ;

ફાટ્યો કડડડ સ્થંભ ધરા ધ્રૂજી રહી, બાળા૦

દીઠો કારમો કેસરી નર પ્રગટ થયો, રુપ નિહાળી દાનવપતિ દૂર ગયો;

ધરી ઢાલ ખડ્ગ આવી ઊભા રહ્યો, ‘જુઓ પિતાજી પ્રેમે મુજ વૈકુંઠપતિ.’

(પ્રહ્લાદયાખ્યાનમાંથી)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981