પ્રેમાનંદ
Premanand
જેને વેદ પુરાણે વખાણિયો રે,
મારો વહાલોજી થયો છે વાણિયો રે;
એના આગમની ગત છે ઊલટી રે,
મારો નાથ થયો નાણાવટી રે.
વહાલો ગોમતીજીના ઘાટમાં રે,
મળ્યો તીરથવાસીને વાટમાં રે;
વેશ પૂરો આણ્યો મારે વહાલે રે,
નાથ ચૌટાની ચાલે ચાલે રે.
છે અવળા આંટાની પાઘડી રે,
વહાલાજીને કેમ બાંધતાં આવડી રે!
દીસે વાણિયો ભીને વાન રે,
એક લેખણ ખોસી છે કાન રે;
હસતાં ખાડા પડે બહુ ગાલ રે,
મોટું કપાળ જાણીએ ઢાલ રે.
અધર બિંબ જાણો પરવાળી રે,
મોટી આંખ દીસે અણિયાળી રે.
બે કાને કુંડળ ઝળકે રે,
નાસિકા તે દીવાની સગ રે;
દીસે દાંત રૂડા હસતા રે,
હીરા તેજ કરે છે હસતાં રે.
ત્રિકમજી વણિકની તોલે રે,
નાથ ઉતાવળું ને બોબડું બોલે રે;
સોનાની સાંકળી ને કંઠે દોરો રે,
કેડે પાટીવાળો કંદોરો રે.
ઝળકે ધનરેખા હથેળીમાં રે,
આંગળીએ વીંટી ને વેઢિયાં રે;
સાદો એક વાઘો પહેર્યો છે હરજી રે,
એનો સીવનારો કોણ દરજી રે?
સેલું કેડે બાંધ્યું બેવડું રે,
ગુણ ક્યાંથી શીખ્યા પ્રભુ એવડું રે!
કરે હીંડતાં હાથના લટકા રે,
સાદી દોરીના કેડે પટકા રે.
પટકે લટકે ફૂમતડાં જ્યોત રે,
કેડે ખોસી પીતળની દોત રે;
કિયાં કિયાં તે કૌતુક ભાળીએ રે,
ઠાલી ગાંઠ વાળી બેચાર ફાળીએ રે.
એક ઓઢી પછેડી ખાંધે રે,
નાથ દુંદાળો, ને મોટી ફાંદે રે;
વસ્ત્ર પહેર્યાં તે પાંચે સોજાં રે,
પાયે પહેર્યાં તે સુન્દર મોજા રે.
કાંઈ વાઘો બિરાજે કેસરી રે,
બન્યા મોટો પારીખ લખેશરી રે;
મારો નાથજી નીચે ખામણે રે,
ભટ પ્રેમાનંદ જાય તેને ભામણે રે.
સાથે વાણોતર છે સાત રે,
ઓધ્ધવ ને અક્રૂર ભ્રાત રે;
હનુમાન, વિદુર, ગરુડ રે,
ભક્ત સુદામો દીસે દીન રે.
પારથના હાથમાં પાન રે,
આગળ જ્યેષ્ઠિકાદાર હનુમાન રે;
ચમ્મર સુદામાએ ગ્રહી રે,
છે વિદુરના હાથમાં વહી રે.
બોલી બોલે પ્રભુ તોતળી રે,
ઉધ્ધવને ખાંધે કોથળી રે;
એમ આવ્યા શામળા અવિનાશી રે,
તે જોઈ રહ્યા તીરથવાસી રે.
એ તો કોઈ પારખ દીસે નવો રે,
આપણા અર્થ સરશે હવો રે;
કાંઈક ભારે માણસ ભાસે રે,
ભલા વાણોતર છે પાસે રે.
હીંડે સહુને શીશ નમાવતા રે,
દીસે પૈસાદાર કોઈ પામતા રે;
એ તો કારણરૂપ કંઈ મળિયું રે,
એને દર્શને દુઃખડું ટળિયું રે.
હૂંડીવાળા એમ વદે વાણી રે,
મળ્યું શામળે અંગે એંધાણી રે;
આઘા આવીને પાછા શાણી રે,
તેના મનની વારતા જાણી રે.
બોલ્યા પોતે તે શાર્ઙ્ગપાણિ રે,
કાંઈક ઓછી લજ્જા આણી રે.
તીરથવાસી બોલ્યા શિર નામી રે,
'જુનાગઢથી આવ્યા છીએ સ્વામી રે,
અમે જુનાગઢથી આવ્યા રે,
નરસૈંયાની હૂંડી લાવ્યા રે.'
જ્યારે સાંભળ્યું નરસૈંયાનું નામ રે,
ત્યારે ધાઈ ભેટ્યા શ્રીશ્યામ રે.
ભર્યાં આંસુ નેત્રાંબુજે રે,
હૂંડી લીધી તે ચતુરભુજે રે;
જ્યારે ઓળખ્યા અક્ષર નાથે,
હૂંડી ચાંપી તે હૈડાં સાથે રે.
હૂંડી વાંચી તે વહેલી વહેલી રે,
શ્રીહરિએ તે હૂંડી ઉકેલી રે;
'શુભ નગર દુવારામતી રે,
જ્યાં વસે છે જાવદપતિ રે.
પેર કરજો દીનદયાળ રે,
છો ગૌબ્રાહ્મણપ્રતિપાળ રે.
સર્વે ઉપમા જોગ શ્યામ રે,
નાથ નાણાવટીમાં નામ રે.
પરમાથ કરો તતખેવ રે,
શેઠ શામળશાહ વાસુદેવ રે;
છે જુનાગઢમાં વાસ રે,
તે તો પ્રભુજી તમારો દાસ રે;
લખી હૂંડી નરસૈંયો સેવક નામ રે,
હૂંડી શિકારજો તમે શ્યામ રે;
એક ઘડીનો કરશો ઉધારો રે,
તો જાશે કાર અમારો રે.
છે મોટા શેઠનું ધામ રે,
રાખે વાણોતરનો વિશ્રામ રે;
લખી હૂંડીમાં એંધાણી રે,
નાથ આપીને પીજો પાણી રે.
ધનના તીરથવાસી ધણી રે,
વિનતિ થોડામાં છે ઘણી રે.'
'એવડું લખવું પડ્યું શાને રે,'
મસ્તક ધુણાવ્યું શ્રીભગવાને રે.
'અમે નરસૈંયાના કહેવાઉં રે,
જ્યાં નરસૈયો વેચે ત્યાં વેચાઉં રે,
આવું લખવું નહોતું લેશે રે,
રૂપૈયા આપત હું સંદેશે રે.'
કહે જાત્રાળુને અવિનાશ રે,
'રૂપૈયા આવ્યા મુજ પાસ રે;
તમે શોધતા ફરો તે શુંયે રે,
ભાઈ, શામળદાસ તે હુંય રે.
નરસૈંયો વાણોતર મુજ જાણો રે,
આ નગરમાં રહું છું હું છાનો રે;
કરું વૈષ્ણવ જનની સેવા રે,
મુને ઓળખે છે નરસૈંયાના જેવા રે.
મેં તો બીજી વિધિ છોડી રે,
મહેતાને પુણ્યે કોથળી માંડી રે;
પરિવાર જીવે શામળશાહનો રે,
તે તો આશરો નરસૈંયાનો રે.'
છોડી કોથળી કરુણા કરી રે,
કાઢ્યા રૂપૈયા તે મૂઠી ભરી રે;
જોવા મળ્યાં ચૌટાનાં લોક રે,
ગણી આપ્યા રૂપૈયાના થોક રે.
સો ઉપર આપ્યા મહારાજ રે,
તે તો ખરચ-ખૂટણને કાજ રે;
'નરસૈંયાને વિનતિ કહેજો મારી રે,
કાગળ લખજો,’ કહે દેવ મોરારિ રે.|
(વલણ)
મોરારિએ કાગળ લખ્યો, અંતરમાં છે આનંદ રે;
કેવો વિવેક કરે વહાલો, કહે વિપ્ર પ્રેમાનંદ રે.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
