kalakhyanmanthi ansh ha kaDawun – 12 - Akhyan | RekhtaGujarati

કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 12

kalakhyanmanthi ansh ha kaDawun – 12

ચિનુ મોદી ચિનુ મોદી
કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 12
ચિનુ મોદી

કલ્પી લો કે બંધ પડ્યું છે ઘરનું એક ઘડિયાળ રે

ડાયલ પરના બે કાંટાની અટકી હરણાં ફાળ રે

ચાવી આપ્યે, યંત્ર ચાલતું; થયો સમય સૂચવવા રે

ડાયલ પરના બે કાંટાને તરત પડે ફેરવવા રે

હતા કાળથી પર બે કાંટા, થયા કાળના હસ્ત રે

ઇન્દ્રાણી ને સર્વ અપ્સરા, વયથી બનતાં ગ્રસ્ત રે

કાળકૃપા જ્યાં પૂરી થાય

વૃદ્ધત્વ વપુમાં વ્યાપી જાય.

મુખ પર કરચલીઓનું જાળું, આંખ ગઈ બે ઊંડી રે

હાથ અને પગની ચામડીઓ, લબડ્યે લાગે ભૂંડી રે.

અન્ય જોઈને, નિજને જુએ; એથી નારી ચૂપ રે

કોઈ નથી કહેતું કે ખોયું; ક્ષણમાં કેવું રૂપ રે.

અપરૂપ સુંદિર તનયા નારી, નખશિખ કુરૂપ ભાસે રે

(જ્યમ) ચિમળાયેલાં ફૂલને જોતાં નેત્ર, નાસિકા ત્રાસે રે.

‘કહે મેનકા, તને થયું શું? કેમ ગુમાવ્યા દાંત રે?

‘કહે ઉર્વશી, કેમ કરીને તું શ્વેત કેશમાં શાંત રે?’

‘કહે’ ‘કહે’ના ઘોંઘાટોથી ભરચક છે આવાસ રે

એકબીજાંની હાંસી કરતી, હસતાં ચડતા શ્વાસ રે!

એકબીજાંને જુએ, પણ કોઈ જુએ નિજનાં તનને રે

ઈર્ષ્યાવશ સૌ રૂપ વખોડે, એમ મનાવે મનને રે

શીશ નમાવી ઇન્દ્રાણી, તો

હજીય અંતર્મુખ રે

શું ખોયું છે, ના જાણે

હઠનું લેતાં સુખ રે.

અંતઃપુરના કોલાહલથી જાગ્યાં, ઝબકી જાગ્યાં રે

સખીવૃંદને તરત પૂછે કે જોબન શાને ભાગ્યાં રે?

સાવ અચાનક શ્વેત કેશ ને દંત ગુમાવ્યાં મુખ રે

વેશ કાઢતાં આવો કેવો? જોતાં વાધે દુઃખ રે!

ઝટ ઝટ બદલો વેશ ને પાછાં સુવાંગ સુંદિર થાવ રે

દેશ્ય નથી જોયું જાતું - હૈયે લાગે ઘાવ રે'

કોણ કહે ઇન્દ્રાણીને કે

માત્ર અમે ના ખોયું રે

જોબન સાથે રૂપ ગયું છે

આપે ના જોયું રે.

સાવ સુંવાળી ત્વચા ઉપર

કાપા પાડ્યા કાળે રે

રૂપ નામનું પંખી ટોળું

હવે દીસે ડાળે રે!

વલણ

કેમ કરીને કહે વૃંદ કે કૃપા કાળની ખોતાં રે

ઘૃણા થાય છે ધૃણા, હવે વૃદ્ધ વપુને જોતાં રે.

સ્રોત

  • પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2002