Damayanti no svayamvar - Akhyan | RekhtaGujarati

દમયન્તીનો સ્વયંવર

Damayanti no svayamvar

ભાલણ ભાલણ
દમયન્તીનો સ્વયંવર
ભાલણ

બૃહદશ્વ ઋષિ એમ બોલિયા, સુણો રાય રે,

શુભ લગ્ન મુહૂર્ત, કરી રચનાય રે.

મોકલ્યાં આમંત્રણ જાણ, તેડ્યા રાય રે;

કામવાસનાવાળા સર્વ, સજ્જ સહુ થાય રે.

દમયંતીને વરવા તણી, છે મન ઇચ્છાય રે;

પુષ્પસાર માળા પેરી, મણિ જડિત કુંડળ શોભાય રે.

આંમંત્રણ સુણી આવિયા, જ્યાં મંડપની રચનાય રે;

સ્થંભ સુવર્ણના મનોહર, મણિ તોરણ શોભાય રે.

પર્વત કેરા વિવર માંહે, પેસે જિમ વનરાય રે;

મંડપ માંહે પેઠા સર્વે, વરવાને કન્યાય રે.

કન્યા વરવા પેઠા સર્વે, નળને વળી પંચદેવ;

અદ્ભુત શોભા થઇ રહી, દેવ થંભ્યા તત્ખેવ.

વિધ વિધ આસન ગોઠવ્યાં; બાજઠનો નહિ પાર;

તે ઉપર જઇ બેઠા ઘણા, કરે સારાસાર વિચાર.

પરિધ સરખા પુષ્ટ છે, પંચ ફણાળા મુકટ;

આકૃતિ હસ્તની છે મનોહર, મનમાં ઘણો છે દર્પ.

કેશાગ્ર શોભે શરાગ્ર ત્યાંહી, નાસિકા કીર જાણ;

નેત્ર પંકજ મનોહર ભ્રકુટી, તણાં શા હોય વખાણ.

આકાશમાં નક્ષત્ર શોભે, તેવા શોભે રાય,

દમયંતી ત્યાં સજ થઇ, સભા માંહે જાય.

સ્વરૂપ શોભા અતિ ભલી, તેણે મોહ્યાં સૈના મન;

જોનાર સહુ મનમાં ધરે, નારી મળે શુભ જીવન.

કાંઇક લીયે આખડી, જે મળે દમયંતી નાર;

અખંડ આરાધું શિવને, કરે કંઈક શક્તિ વિચાર.

કો વિષ્ણુની આરાધના, મન માંહે કરે બહુ;

કો કાલિકા અંબા આરાધે, વરવા ઈચ્છે દમયંતી સહુ.

એવી અલૌકિક નારીએ, કર્યોં મંડપ પ્રવેશ;

દૃષ્ટિ સંમીલન થઇ, થયો ઘણો ઉજેશ.

તૃપ્તિ થાય કોઇને, નર નામધારી જે;

દમયંતીને નિરખતા, ઢળ્યા નૃપતિ પૃથ્વીએ.

દમયંતીએ નિરખિયા, પંચાકૃતિ નળ એક;

વારંવાર આવલોકિયું, નવ રૂપમાં મીનમેખ.

નળરાય ઓળખ્યો, નારી પામી દુઃખ;

નળતણું ચિંતવન કરે, દેવ પમાડો સુખ.

દેવ નળ હું કિમ લહું, એમ કરે તર્ક અપાર;

ચિંતવન કરતી ચતુરા વળી, ગ્રહે સાચો સાર.

વૃદ્ધ સાધુ મુનિથકી, સુણ્યાં સુર નરનાં ચિન્હ;

પંચમાં તે નવ જણાયે, નવ જણાયે કોઇ ભિન્ન.

વારંવાર નિશ્વાસ મૂકી, કર્યો ઘણો વિચાર;

શરણ જાવું દેવને ધરી, કર્યો છે નમસ્કાર.

થર થર કંપે કામિની, દીન સ્વરે બોલી બાળ;

હે દેવના સહુ દેવ આવ્યા, દેખાડો નળ ભૂપાળ.

હંસપક્ષીએ જે કહ્યો, હું વરી નળ નિઃસંદેહ;

મન વાણીથી અન્ય ઈચ્છું, સત્ય કહો મનિસા જેહ.

સ્વયંવરનું વ્રત કીધું, પામવા નળ ભૂપ;

પૂજન કરી હું દેવ પ્રણમું, પ્રસન્ન થાઓ અનુપ.

વ્રત કેરી પ્રાપ્તિમાં, આપો નળ નરેશ;

નળ રાયને હું ઓળખું, એમ કરો સર્વેશ.

સ્વરૂપ ગ્રહો સ્વય સ્વયતણાં, તો થાય મન પ્રસન્ન;

બ્રૃહદશ્વ મુનિ ઉચરે ઇમ, સુણો ધર્મરાજન.

દીનવાણી સુણી દેવ, થયા મન રળિયાત;

શાસ્ત્રમાં જે વિધ કહ્યાં, તે રૂપ ધર્યા સાક્ષાત.

પ્રસ્વેદ નહિ અંગે વસે, નહિ મિષોન્મિષ નેત્ર;

કરમાઇ નહિ માળા ધરી, પ્રફુલ્લિત સુક્ષેત્ર.

નીરજ શરીર નિઝર તણું, પૃથ્વીથી ઉંચા જાણ;

દેવ એવા નરખિયા, કરૂં નળ તણું વિખાણ.

દેહ કેરી છાંય પડતી, કરમાયા પુષ્પની માળ;

રજ સંયુક્તે અંગ શોભે, જોઈ હરખી બાળ.

નેત્ર મિષોન્મિષ થતાં, પ્રસ્વેદ કણ મૌક્તિક;

મનહરણ જોયો ભૂપતિ, નળ શોભે સહસ્રાક્ષ સૌઉક્તિક.

દેવ ને નળરાય નિરખી, થઈ વરવા સજ;

ઉત્તરીય સાંધ્યું નળ તણું, જેમ વર કરિણીએ વર ગજ.

કંઠમાં વરમાળ અર્પી, સ્વામી કીધો જાણ;

હાહાકાર ત્યાંહિ થયો, વાગ્યાં અન્ય નૃપને બાણ.

ઋષિવર આનંદ પામિયા, સાધુ હરખ્યા ત્યાંહી;

સારૂં સારૂં મુખ વદે, ક્ષીરનીર મળિયાં આંહી.

ભીમ નૃપ આનંદ પામિયો, સંજોગ સારો જાણી;

ભાલણ પ્રમુ રઘુનાથના, શું શું કહું વખાણી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928